News of Friday, 9th April 2021
ચકલાસી: તાલુકાના કૈવલ નગર ખાતે રહેતી એક પરિણીતાએ નડિયાદમાં રહેતા તેના સાસરીયાઓ વિરૂધ્ધ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. લગj બાદ ત્રાસ આપતા સાસરીયાઓથી કંટાળાલી પરિણીતાએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. પરંતુ બાદમાં સમાધાન થતા ફરી રજિસ્ટર લગ્ન કર્યા હતા, જે દરમ્યાન સંતાન પ્રાપ્તિ પણ થઇ, પરંતુ સાસરીયાઓ નહીં સુધરતા ફરીથી શારીરિક માનસિક ત્રાસ આપતા નાછૂટકે પરિણીતાએ સાસરીયાઓ વિરૂધ્ધ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ચકલાસીના કૈવલ નગર ખાતે રહેતી રીમા (નામ બદલેલ છે)ના લગ્ન ૨૮ એપ્રિલ ૨૦૦૪ના રોજ નડિયાદ પવનચક્કિ રોડ પર આવેલ યોગીરાજ સોસાયટીમાં રહેતા ધનંજય પ્રતાપસિહ દરબાર સાથે થયા હતા. જો કે લગ્નના થોડા સમય બધુ બરાબર ચાલ્યુ. પરંતુ બાદમાં સાસરીયાઓએ અસલી રંગ બતાવવાનો શરૂ કરી દીધો. રીમા જે ઘરકામ કરતી તે સાસુને ગમતુ ન હોઇ તેણીને મહેંણા ટોણાં મારતા હતા. બીજી તરફ જો તેણી પોતાના પતિ ધનંજયને તે બાબતે ફરિયાદ કરે તો તે મારા માતા-પિતાની ફરિયાદ કરવાની નહીં નહીં તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. જેથી તેણીએ તેના પતિ, સાસરીયાઓવાળા વિરૂદ્ઘમાં પોલીસ મથકે અરજી કરી હતી. અને નોટરી વકીલ મારફતે છૂટાછેડા લઇ નડિયાદની રાજન ટ્રાવેલ્સમાં નોકરી પર લાગી હતી. જો કે છૂટાછેડા બાદ પણ તેનો પતિ અવાર નવાર તેની ટ્રાવેલ્સ ખાતેની ઓફિસ પર આવતો હતો, અને પોતાની મીઠી મીઠી વાતોથી રીમાને ફરી તેણે માયાજાળમાં ફસાવી લીધી હતી. આખરે તેણે રીમાને લગ્ન માટે મનાવી લેતા બંનેએ ફરીથી લવ મેરેજ કરી લીધા હતા. જો કે ત્યારબાદ પણ તેના અને સાસુ વચ્ચે નાની મોટી વાતોમાં અણબનાવો બનતા તેના નણંદોઇ તેણીને અને તેના પતિને હાલોલ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેઓ બંને એક વર્ષ સુધી રહ્યા હતા. જે દરમ્યાન તેણીને સારા દિવસો શરૂ થયા હતા. જે બાદ ખોળો ભરવાની વિધી કરવાની હોઇ તેણી તા.૨૭ ફેબ્રુઆરીના રોજ તેના પિયર પરત ગઇ હતી. અને ત્યારબાદ તેને સંતાનમાં દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થયે હજુ તો થોડા દિવસો જ થયા હોય તેનો પતિ ધનંજય તેને લેવા ચકલાસી પહોંચી ગયો હતો. ત્યારે રીમાએ સવા મહિનો થાય ત્યાર બાદ જ સાસરીમાં આવીશ તેમ કહેતા તેનો પતિ ગુસ્સે ભરાયો હતો, અને મારો દીકરો તો હું લઇ જઇશ પણ તને નહીં લઇ જવ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ તેણે પોતાના પતિને તેડી જવા માટે ઘરમાં ફોન કર્યા હતા, પરંતુ તેણે તું મને ગમતી નથી તેમ કહી પરત લેવા આવ્યો ન હતો. ના છૂટકે તેણે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.