Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

માસ્કનું મહત્વ :સતત માસ્ક પહેરી અને કોરોના અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરવાના કારણે જ કોવિડ બડીસ(મિત્રો) હજુ સુધી “કોરોના થી સંક્રમિત” થયા નહી

૨૦ મહિનાથી કોરોના સામેની લડતમાં અડીખમ હોવા છતા સંક્રમણથી બચી શક્યા તેનું એક માત્ર કારણ SMS(સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક, સેનિટાઇઝર):સિવિલ હોસ્પિટલના ટોચના હોદ્દા પર બિરાજમાન બંને મિત્રોએ કોરોનામાં મહત્તમ સમયગાળો કોરોના વોર રૂમમાં પસાર કર્યો :1200 બેડ હોસ્પિટલમાં 1 લાખથી વધુ દર્દીઓની સારવારના સાક્ષી :કોરોના સામેની જંગમાં અમોધ શસ્ત્ર એટલે માસ્ક, રસીકરણ અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયરનું પાલન-ડૉ.રાકેશ જોષી અને ડૉ. રજનીશ પટેલ:આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા પણ રાજ્યના નાગરિકોને માસ્ક પહેરવા અને કોરોના રસીકરણ કરાવવા અનુરોધ

અમદાવાદ : કોરોના મહામારીમાં સંક્રમણથી બચવા માસ્ક અને કોવિડ અનુરૂપ વ્યવહારને અનુસરવું કેટલું મહત્વનું છે તેનું દ્રષ્ટિવંત ઉદાહરણ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ટોચના હોદ્દા પર બિરાજમાન બે તબીબોએ પુરૂ પાડ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અને એડિસનલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ જેઓ મે – ૨૦૨૦ થી કોરોના સામેની લડતમાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત હોવા છતા પણ આજદિન સુધી એક પણ વખત કોરોના સંક્રમિત થયા નથી.
આ બંને કોવિડ બડ્ડીસ(મિત્રો)એ કોરોના વોરીયર બનીને કોરોના સામેની જંગમાં અને જંગના મેદાનમાં રાઉન્ડ ઘ ક્લોક સેવાઓ બજાવી છે. ૨૦ મહિનાથી કોરોનાના અતિસંવેદનશીલ અને વાયરસના સંક્રમણની મહત્તમ સંભાવના ધરાવતા વિસ્તારમાં ફરજો અદા કર્યા છતા પણ તેઓ સંક્રમિત ન થયા હોય તો તેનું એક માત્ર હથિયાર હતું માસ્ક અને કોવિડ અનુરૂપ વ્યવહાર.
શરૂઆતના સમયથી જ એન-૯૫, સર્જીકલ માસ્ક કાળજીપૂર્વક પહેરીને, સમયાંતરે નિયમ પ્રમાણે તેને બદલીને તેઓએ શરીરમાં કોરોનાનું સંક્રમણ જે વિસ્તારમાંથી પ્રવેશે છે તેવા ચહેરાને સુરક્ષિત રાખી શક્યા. કોવિડ વોર્ડમાં પી.પી.ઇ. કીટ પહેરીને જાય ત્યારે નિયત પધ્ધતિ પ્રમાણે જ પી.પી.ઇ. કીટ પહેરીને દર્દીઓને તપાસવાના તેમની સાથે ચર્ચા કરવાની.
કોરોના વોર્ડમાં ના હોય ત્યારે પણ સતત માસ્ક પહેરી રાખવુ, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું અને જરૂર જણાયે સેનિટાઇઝ કરતા રહેવાના SMSના નિયમોને ચુસ્તપણે તેઓ અનુસરતા રહ્યા.
૧૬ મી જાન્યુઆરીએ કોરોના રસીકરણ ની શરૂઆત થઇ ત્યારે પ્રથમ જ દિવસે કોરોના રસીકરણ કરાવીને પોતાને અને અન્યોને પણ કોરોના સામેના સુરક્ષા કવચ થી સજ્જ કર્યા. ગઇ કાલે ૧૦મી જાન્યુઆરીએ જ્યારે સમગ્ર રાજ્યમાં પ્રિકોશન ડોઝની શરૂઆત થઇ ત્યારે ફરી વખત કોરોના રસીકરણનો પ્રિકોશન ડોઝ લઇને કોરોના સામેની લડતમાં પોતાની સજ્જતા દર્શાવી અન્ય સ્ટાફને પણ રસીકરણ માટે પ્રેરણા આપી.  
બંને તબીબો જાણે છે કે રસીકરણનું કેટલું મહત્વ છે. રસીકરણ શરીરમાં કોરોના સામે લડવાના એન્ટીબોડીઝ બનાવે છે. જેથી અતિસંવેદનશીલ વિસ્તારમાં પણ કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.અથવા કોરોનાનું સંક્રમણ લાગે તો પણ હળવા લક્ષણો જ રહે છે.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે પણ આ સંદર્ભે નાગરિકોને માસ્ક પહેરવા અને કોરોના રસીકરણ કરાવવા અનુરોધ કરતા કહ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓને જ્યાં સારવાર આપવામા આવે છે તેવા સામાન્ય વોર્ડ થી લઇ આઇ.સી.યુ. સહિતના વિસ્તારમાં સતત માસ્ક પહેરી અને કોવિડ અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરતા હોય ત્યારે આપણે પણ જાગૃત નાગરિક તરીકે જાહેરમાં અને અન્ય સ્થળે સ્વ અને અન્યોની રક્ષા કાજે કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરીને માસ્ક પહેરવું જોઇએ.

(6:49 pm IST)