(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૧: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતુ કે, જળસંચય બાબતે ઉદાસીન ન રહીએ, દર વર્ષે ચોમાસા પહેલા તળાવ ઉંડા કરવાનો, સાફ કરવાનો સંકલ્પ કરીએ. ધરતીમાતાને રસાયણ મુક્ત બનાવવા પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે ઉમાધામ ગાઠીલાનો ૧૪ મો મહાપાટોત્સવ ભકિતભાવ પૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોનફરન્સના માધ્યમ થી ᅠસંબોધન કર્યુ હતું.ᅠ
વર્ષ ૨૦૦૮માં ઉમાધામ ગાંઠિલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી હતી તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ કહયુ કે, ᅠઆ પાવન ધામ આજે શ્રદ્ધાના કેન્દ્રની સાથે સાથે સામાજિક ચેતનાનું કેન્દ્ર તેમજ પ્રવાસન માટે મહત્વનું સ્થાન બની રહ્યુ છે. માં ઉમિયાના આશીર્વાદથી ૧૪ વર્ષના ગાળામાં વિવિધ પ્રવૃતિઓનો વ્યાપ વધાર્યો છે. જે બદલ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ગાંઠીલાના ટ્રસ્ટીઓ, ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.
માં ઉમિયાનો પાટોત્સવ ધર્મોત્સવ નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કરતો અવસર છે. અહિં આયોજીત આરોગ્યલક્ષી, સમાજલક્ષી સેવાકાર્યો સમાજને નવો રાહ ચીંધે છે.તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા જણાવ્યુ કે, ૭૫મા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી સુરાજય અને રામ રાજયના અનુભવ તરફ લઇ જાય છે. મુખ્યમંત્રીશ્રીએ પાટીદારો એટલે શ્રદ્ધા, સેવા અને સર્પણ એ તેમની ઓળખ છે તેમ ઉમેર્યુ હતુ.
આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતમાંથી પણ રસ્તો કાઢવા સક્ષમ છીએ. ધરતીમાતાને ફર્ટીલાઇઝર મુક્ત બનાવવા સાથે બેક ટુ બેઝીકનું આહવાન કર્યુ હતું. આપણે સંકલ્પ કરીએ કે, હવેથી પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મીંગ અપનાવશુ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતું કે, માં ઉમિયાધામ મહાપાટોત્સવએ માત્ર ધર્મોત્સવ નહીં માતૃસંસ્થાને ઉજાગર કરતો અવસર છે. શ્રદ્ધા,ᅠસેવા અને સર્પણને વરેલા માં ઉમિયાના ભક્તો એવા પાટીદારો એટલે પાણીદાર ગુજરાત. વિશ્વભરમાં પાટીદારોની એક આગવી ઓળખ છે. ક્યાંય પાછા ન પડે,ᅠગમે તેવી વિકટ પરિસ્થિતિને મુંઝાયા વગર પાર પાડે. પથ્થરમાંથી પાણી કાઢે એવા મહેનતી લોકો એટલે પાટીદાર. પાટીદારો આખા વિશ્વમાં વ્યાપી ગયા પરંતુ માતૃ ભૂમિનુ રૂણ કદી ન ભુલ્યા. એમની સેવા,ᅠપ્રવૃતિઓ તમામ સમાજનો સહારો બની છે.
કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાએ તેમની આગવી શૈલીમાં કહ્યુ કે,ᅠવિશ્વ હજુ મહામારી સામે ઝઝુમી રહ્યુ છે ત્યારે આપણે ૧૮૫ કરોડ ડોઝ આપી કોરોનાને હંફાવ્યો છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા સમાજને સ્પર્શતા પ્રશ્નો,ᅠમુદ્દાઓ સૌના સહયોગથી ઉકેલ્યા છે. તેમણે સમાજને સ્પર્શતા પ્રશ્નો કુ-પોષણ,ᅠસ્વચ્છતા સહિતની બાબતો અંગે ટકોર કરી તેમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.ᅠ
ઉમાધામ ગાંઠીલા ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા જૂનાગઢ જિલ્લા પ્રભારી અને પ્રવાસન મંત્રીશ્રી અરવીંદભાઇ રૈયાણીએ કહ્યુ કે, પાટીદાર સમાજ સામાજિક ચેતના ઉજાગર કરવામાં સતત અગ્રેસર છે. આપણે સૌને સાથે લઇને ચાલવાનુ છે. જેનાથી આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરીશું.
મહા પાટોત્સવમાં સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી લલીતભાઇ કગથરા, ચીરાગભાઇ કાલરીયા,શ્રી હર્ષદભાઇ રીબડીયા શ્રી ભીખાભાઇ જોષી, ઉંઝા ઉમાધામ મંદિરના પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, ઉમાધામ ગાંઠીલાના પ્રમુખશ્રી વાલજીભાઇ ફળદુ, પટેલ સમાજના આગેવાનો ગટોરભાઇ પટેલ, ગોવિંદભાઇ વરમોરા, આર.સી.પટેલ, મનીષભાઇ ચાંગેલા, સહિત દાતાશ્રીઓ ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને પ્રારંભે પૂર્વ ધારાસભ્યશ્રી અરવીંદભાઇ લાડાણીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. અગ્રણીશ્રી નીલેષભાઇ ધુલેશીયાએ ઉમાધામ ગાંઠીલાના વિકાસ સાથે સામાજિક કાર્યોની વિગતો આપી હતી.ᅠ આ પ્રસંગે દાતાઓનું સન્માન આરોગ્યલક્ષી કેમ્પ ૫૧ કુંડી હવન યોજાયો હતો.
આ પ્રસંગે ઉમાધામ ફેઝ-૨ ના નિર્માણ માટે પાટીદાર સમાજના દાતાઓ દ્રવારા કુલ રૂ. ૧.૧૩ કરોડના દાનની પણ જાહેરાત કરવામાં આવી હતી.