Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રાજ્‍યભરમાં ૧૪ થી ૩૧ ‘પ્રાણી કલ્‍યાણ પખવાડિયું' તેમજ ૨૦ જાન્‍યુઆરી સુધી કરૂણા અભિયાન યોજાશે : પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ

રાજ્‍યમાં ‘કરૂણા અભિયાન' -‘પ્રાણી કલ્‍યાણ પખવાડિયા'ના સફળ આયોજન માટે પશુપાલન મંત્રીના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

જામનગર તા.૧૨: રાજયભરમાં પ્રાણી કલ્‍યાણ બોર્ડના ઉપક્રમે આગામી તા. ૧૪ થી ૩૧ જાન્‍યુઆરી ૨૦૨૩ સુધી  યોજાનાર પ્રાણી કલ્‍યાણ પખવાડીયા તથા તા ૨૦ જાન્‍યુઆરી ૨૦૨૩ સુધી  યોજાનાર ‘કરૂણા અભિયાન ૨૦૨૩'ના સફળ આયોજન માટે કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપતા કહ્યું હતું કે,રાજયભરમાં ૧૪ થી ૩૧ જાન્‍યુઆરી દરમિયાન ‘પ્રાણી કલ્‍યાણ પખવાડિયું'તેમજ ૨૦ જાન્‍યુઆરી સુધી કરૂણા અભિયાન યોજાશે. આ પખવાડિયાના સફળ આયોજન માટે  પ્રાણી કલ્‍યાણ બોર્ડના સભ્‍યોશ્રીઓએ તેમજ વનવિભાગની સાથે જીવદયા, સેવાભાવી સંસ્‍થાઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં સહયોગથી ઉત્તરાયણ પર્વ દરમ્‍યાન ઘાયલ પશુ પક્ષીની સારવાર માટે  પશુપાલન ખાતાના પશુચિકિત્‍સકની ટીમો, જરૂરી દવા સાધન સેવાઓની સાથે લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવા પડશે.

 મંત્રીશ્રીએ જણાવ્‍યું  હતું કે, નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે ચાલુ રીટ પીટીશનમાં મળેલ મૌખિક ઓર્ડેર મુજબ પાંજરાપોળ/કેટલ પોન્‍ડ (ઢોરવાડા)ની કામગીરી બાબતે જિલ્લા કક્ષાની પ્રાણી ક્રુરતા સમિતિ દ્વારા કરવાની થતી સમિક્ષા બાબતે, રાજય પ્રાણી કલ્‍યાણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકાઓ મુજબ કામગીરી થાય અને “stray cattle”  સંદર્ભેના  પ્રશ્નો હલ કરવા સ્‍થાનિક મ્‍યુનિસિપલ કોર્પોરેશન, મ્‍યુનિસિપાલિટી- પંચાયતોને સહકાર મળે તેવી વ્‍યવસ્‍થા કરવી પડશે. આ અભિયાનમાં પશુપાલ પ્રભાગ હેઠળની પાંજરાપોળ ,ગૌશાળા, પ્રાણી કલ્‍યાણની યોજનાઓનો પણ  સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓ પુરતો લાભ મેળવે તે અંગે પણ મંત્રીશ્રીએ સૂચન કયું હતું. આ ઉપરાંત પ્રાણી ક્રુરતા નિવારણ કાયદા હેઠળનાં પોલીસ કેસમાં પકડાયેલ પશુઓ માટે ઇન્‍ફરમરીઝ (પાંજળાપોળ)  ને આપવામાં આવતી નીભાવ સહાય બાબતે રાજયની મુખ્‍યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં સહાય મેળવતી તમામ સંસ્‍થાઓને પણ સહાય મળી રહે તે માટે જરૂરિયાત મુજબ રાજય કક્ષાએ વધારાની ગ્રાન્‍ટ ફાળવવાની જોગવાઈ કરવા મંત્રીશ્રીએ સંબંધિતોને સૂચના આપી હતી.

પશુપાલન નિયામક ડો. ફાલ્‍ગુની ઠાકરે ‘કરૂણા અભિયાન'-‘પ્રાણી કલ્‍યાણ પખવાડિયા'ના સફળ આયોજન માટે જરૂરી સૂચનો કર્યા હતા.  ગાંધીનગર ખાતે યોજાયેલી રાજય પ્રાણી કલ્‍યાણ બોર્ડની પ્રથમ કારોબારી બેઠકમાં સભ્‍યશ્રી શ્રી પંકજભાઈ બૂચ, શ્રી દિલીપ શાહ ,શ્રી રાજીવ શાહ, શ્રી રાજેશ શાહ, છારોડીના શ્રી માધવ ચરણદાસજીસ્‍વામી સહિત વિવિધ જીવદયા-સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:25 pm IST)