Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અમદાવાદના વેજલપુરમાં 80 વર્ષના વૃદ્ધાની હત્‍યા કરનાર શખ્સ દાગીના લઇ ગયા બાદ ઘરને તાળુ પણ મારી ગયો

અમદાવાદ: વેજલપુર ગામમાં 80 વર્ષની વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવી. સિનિયર સીટીઝન મહિલા એકલવાયું જીવન ગુજારતી હતી. આ હત્યા લૂંટના ઇરાદે કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી. વેજલપુર પોલીસે શકસપદ ભાડુઆતને લઈને તપાસ શરૂ કરી. જો કે સિનિયર સિટીઝનની હત્યાની ઘટનાએ ફરી સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે.

સિનિયર સિટીઝનની હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. વેજલપુર ગામમાં એકલવાયું જીવન જીવતા 80 વર્ષના મેનાબેન ઠાકોરની હત્યા કરાયેલો મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો. ઘટનાની વાત કરીએ તો બે દિવસથી મેનાબેન ઘરની બહાર દેખાતા નહોતા જ્યારે ઘરે પણ તાળું લગાવેલું હતું. મેનાબેન ક્યારે ઘરની બહાર નીકળતા નહતા.. જેથી તેમના ભાડુઆતને શંકા ગઈ અને મેનાબેનના દીકરાને ફોન કરીને જણાવ્યું. દીકરો લક્ષ્મણ ઠાકોર પોતાની માતાને શોધવા ઘરે આવ્યો તો માતાનો હત્યા કરેલો મૃતદેહ મળ્યો હતો. જ્યારે તેમને પહેરેલા ઘરેણાં પણ ગાયબ હતા.

મેનાબેનની હત્યા કરેલો મૃતદેહ મળી આવતા વેજલપુર પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી. તપાસમાં મેનાબેન ઠાકોર 2014થી એકલા ઘરે રહેતા હતા. જ્યારે તેમનો મોટો દીકરો લક્ષ્મણ ઠાકોર નિકોલ અને બીજો દીકરો કસિન્દ્રા રહેતો હતો. તેમની વેજલપુર ગામમાં મિલકત હોવાથી મેનાબેન ગામમાં જ રહેતા હતા અને બધા ઘર ભાડે આપી દીધા હતા. મેનાબેનની હત્યા કરનાર વ્યક્તિએ ઘરમાં ઘૂસીને હત્યા કરીને ઘરને તાળું લગાવી દીધું હતું. આ હત્યા કોઈ જાણકાર વ્યક્તિએ કરી હોવાની શક્યતાના આધારે વેજલપુર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ સમગ્ર વિસ્તાર તપાસ શરૂ કરી. સિનિયર સીટીઝન મહિલાની હત્યાથી ફરી સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં પોલીસે વેજલપુર ગામમાં રહેતા ભાડુઆત, પરિવાર અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરી છે.

(4:45 pm IST)