Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પરસ્ત્રી સાથેના સબંધમાં પતિએ પત્ની અને બાળકોને કાઢી મૂક્યા

પતિ-પત્નીના સબંધોને લાંછન લગાડતો કિસ્સો : ઘર છોડીને જવાનું કહેતા બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કરતા મહિલા હોસ્પિટલમાં દાખલ, પોલીસની તપાસ

વડોદરા, તા. ૧૩ : વડોદરામાં પતિ-પત્નીના પવિત્ર સંબંધોને વેરણ છેરણ કરતો મામલો સામે આવ્યો છે. જેમાં અન્ય મહિલાઓ સાથેના સંબંધના કારણે પતિએ પત્ની તથા બાળકોને ઘર છોડીને જતા રહેવા માટે કહેતા મહિલાએ બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમય પર મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે અહીં મહિલાની ફરિયાદના આધારે પતિ તથા અન્ય સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના તરસાલી બાયપાસ પાસે અક્ષર વિન્ટેજમાં રહેતી પરિણીત મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે. જે મુજબ તેના વર્ષ ૨૦૦૦માં લગ્ન સમાજના દિનેશ પરમાર નામના યુવક સાથે થયા હતા. અને તેનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લગ્નજીવનથી મહિલાને બે સંતાનો છે. તેનો આરોપ છે કે, લગ્નના આઠમા દિવસથી પતિએ તેની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આટલું નહીં અવાર નવાર પતિ તથા અન્ય સાસરિયાઓ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતો. પરંતુ ઘર સંસાર ટકાવી રાખવા માટે તે ત્રાસ સહન કરતી રહી.

કપલ ૨૦૦૭માં વડોદરા રહેવા માટે આવ્યું હતું. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, પતિ અવાર નવાર તેની સાથે મારઝૂડ કરતો હોય મકાનમાલિકો પણ તેમને મકાન ખાલી કરાવી દેતા હતા. પતિ ઘર ખર્ચ માટે પૂરતા રૂપિયા પણ આપતો નહોતો અને અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હોવાથી મને કહેતો હતો કે, તું મને ગમતી નથી, અને તું મને છૂટાછેડા આપી દે. મારે તને રાખવી નથી. આમ કહીને તેની સાથે મારઝૂડ કરતો હતો.

ગત ૯મી ફેબ્રુઆરીના રોજ મહિલાનો પતિ નોકરીથી છૂટીને ઘરે આવ્યો પત્ની તથા બાળકોને કહ્યું, 'તમે મારૃં મકાન ખાલી કરીને જતા રહો.' પત્નીએ વાતનો વિરોધ કરતા તેની સાથે મારઝૂડ કરવામાં આવી અને પછી પતિ પોતે ઘરેથી જતો રહ્યો. એવામાં પત્નીને બાળકો સાથે પોતે ક્યાં જશે, ઘર કઈ રીતે ચાલશે, તેવા વિચારોથી ટેન્શનમાં આવી જતા બંને બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેયની તબિયત બગડતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

(8:56 pm IST)