Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નવસારીના વાંસદાના રવાણિયા ગામમાં લગ્નેતર સંબંધોમાં સમગ્ર પરિવાર હોમાયોઃ પતિ-પત્‍નીનો બે દીકરીઓ સાથે સામુહિક આપઘાત

પોલીસ પૂછપરછમાં મૃતકના પિતાએ જણાવ્‍યુ કે, ચુનીલાલને ડાંગની યુવતી સાથે આડા સંબંધ હતા

નવસારીઃ મૃત્યુ પહેલા જીવનનું શું મહત્વ છે, એ આજે નવસારીના વાંસદાના રવાણિયા ગામે ગાવિત પરિવારે બતાવ્યુ છે. પતિના લગ્નેત્તર સંબંધના ઝઘડા બાદ પણ પત્નીએ તેનો સાથ આપી મોતને વ્હાલું કરવા પહેલા ગત રોજ જીવનને ભરપૂર માણ્યુ હતુ. બાદમાં મોડી રાતે દંપતિએ પોતાની લાડકી દિકરીઓને ગળે લગાવી, ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં બંનેએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. 

વાંસદા તાલુકાના રવાણિયા ગામે બોરી ફળિયામાં રહેતા 39 વર્ષીય ચુનીલાલ ગાવિત દમણ ખાતે આવેલી યુનીબેઝ કંપનીમાં નોકરી કરતો હતો. જેના પરિવારમાં પત્ની તનુજા અને બે દિકરીઓ હોવા છતાં તેની કંપનીમાં સાથે કામ કરતી ડાંગની યુવતી સાથે આંખ ચાર થઈ હતી. ચુનીલાલના લગ્નેત્તર સંબંધ બનતા તેની અને તનુજા વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. ચુનીલાલ પત્ની તનુજા અને પ્રેમિકા વચ્ચે મુંઝવતો હતો. દરમિયાન પત્ની તનુજા અને ચુનીલાલ વચ્ચે પ્રેમ મજબૂત બન્યો અને બંનેએ એકસાથે મૃત્યુને આલિંગન કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. 

જેને આધારે ગત રોજ ચુનીલાલ પત્ની તનુજા અને બંને દિકરી 7 વર્ષીય કશિશ અને 4 માસની દિત્યા સાથે ફરવા નિકળ્યો હતો. ચુનીલાલે પરિવાર સાથે નવા કપડાની ખરીદી કરી, નવા કપડા પહેરી દુકાનમાં જ ફોટો પાડ્યા અને ત્યાર બાદ હોટલમાં સાથે ભોજન લઈ જીવનને ભરપૂર માણવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં મોડી રાતે 11 વાગ્યાના સુમારે પરિવાર સાથે ઘરે પહોંચ્યો હતો. ચુનીલાલ ઘરે પહોંચ્યો ત્યારે પિતાએ જોયું હતું. પરંતુ મોડી રાત થવાથી તેઓ તેમના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. પરંતુ પિતાને ક્યાં ખબર હતી કે સવારે તેના પુત્રનો પરિવાર રહેશે જ નહીં, કારણ પુત્ર અને પુત્રવધૂએ જીવનને માણ્યા બાદ મૃત્યુના ખોળામાં સુવાનો પ્લાન બનાવ્યો હતો. 

મોડી રાતે ચુનીલાલ અને તનુજાએ તેમની વહાલસોયી બંને દિકરીઓ કશિશ અને દિત્યાને ગળે લગાવી, બંનેના ગળા દબાવી હત્યા કરી હતી. બાદમાં ચુનીલાલ અને તનુજાએ પણ ઘરની પજારીમાં લાકડાના મોભ સાથે દોરડું બાંધી એકબીજાને પ્રેમભર્યું આલિંગન કરી એક જ દોરડાની બંને છેડાને પોત પોતાના ગળે બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. 

આજે સવારે જ્યારે ચુનીલાલના ઘરેથી પૌત્રીઓનો અવાજ પણ ન આવતા પિતા જોવા ગયા, તો પજારીમાં પુત્ર અને પુત્રવધૂને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમના હોશ ઉડી ગયા હતાં. જ્યારે બંને પૌત્રીઓ પણ મૃત હાલતમાં મળી આવી હતી. જેથી સમગ્ર મુદ્દે વાંસદા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બે બાળકીઓના મૃત્યુ પ્રકરણમાં દંપતી સામે હત્યાનો અને દંપતીના મોત મુદ્દે અક્સ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે. 

પોલીસે ઘટના સ્થળેથી ચારેયના મૃતદેહોને વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડી પેનલ પીએમ કરાવ્યુ હતું. સાથે જ આત્મહત્યા પૂર્વે ચુનીલાલે કોઈ શ્યુસાઇડ નોટ કે મોબાઈલ મેસેજ અથવા વિડીયો બનાવ્યો હતો કે કેમ એની તપાસમાં જોતરાઈ છે. જ્યારે મૃતકના પિતાએ ચુનીલાલનુ ડાંગની યુવતી સાથેના લગ્નેત્તર સબંધ હોવાને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા જતાવી ફરિયાદ નોંધાવી છે. જોકે સમગ્ર મુદ્દે પોલીસ તપાસ બાદ જ ખરી હકીકત સામે આવશે.

(5:54 pm IST)