Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અમદાવાદના બહુચર્ચિત આસારામ અને નારાયણ સાંઇના ફરિયાદી અને સાક્ષીઓ પર હત્‍યાનો પ્રયાસ કરનાર ફરાર આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્‍દ્ર સાહુ પોલીસના સકંજામાં

અગાઉ ગુજરાત એટીએસએ સુરત આશ્રમથી આરોપી વાસુની ધરપકડ કરી હતી

અમદાવાદ: નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયેલ બળાત્કાર કેસમાં ફરિયાદી પર હુમલો કરાવનાર વધુ એક શખ્સની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. અગાઉ સુરત આશ્રમથી વાસુ નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. જોકે હત્યાનો પ્રયાસ કરનાર સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુનું આ કેસમાં નામ ખુલતા છેલ્લા ઘણા વર્ષોથી તે ફરાર હતો. પરંતુ ગુજરાત ATSની ટીમને ચોક્કસ હકીકત મળતા સતત 48 કલાક જેટલું ઓપરેશન ચલાવી સુનિલને પકડી લીધો હતો. હાલમાં આરોપીને સુરતના ખટોદરા પોલીસને વધુ તપાસમાં સોંપવા કાર્યવાહી કરવામાં આવી છે.

નારાયણ સાઈ વિરુદ્ધ બળાત્કારની નોંધાયેલી ફરિયાદ બાદ આશ્રમના કેટલાક સાધકો આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધ થયેલા આરોપોને સાખી શકે તેમ નહોતા. જેને પગલે અનેક સાક્ષીઓ અને ફરિયાદી ઉપર હીચકારું હુમલા કરવાના બનાવો સામે આવ્યા હતા.  એવા જ એક સુરતના ફરિયાદીએ નારાયણસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. 

ગુજરાત ATSની ટીમને ચોક્કસ માહિતી હતી કે આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહુ મધ્યપ્રદેશના સુસનેર આશ્રમ ખાતે ગૌસેવા આપી રહ્યો છે અને ગૌશાળામાં જ રહેતો હતો. પણ મધ્યપ્રદેશના સાજાપુરામાં તે ગાયો માટે ચારો લેવા આવવાનો છે આ માહિતીના આધારે ગુજરાત ATSની ટીમે 48 કલાક જેટલી વોચ રાખી અને તેની ઓળખ કરી ઝડપી પાડ્યો હતો. 

મહત્વનું છે કે આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુ વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં હુમલા અંગેની ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ થી સુનિલ પોલીસ પકડથી બચવા નાસ્તો ફરતો હતો ક્યારેક સુરત આશ્રમમાં તો ક્યારેક અન્ય જિલ્લાઓના આશ્રમમાં સુનિલ રહેતો હતો. એટલું જ નહીં પોતાના કુટુંબના સભ્યો અને ઘરનો સંપર્ક પણ કરવાનો પ્રયત્ન સોની લે નહોતો કર્યો. 

પકડાયેલ આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહુ બીએસસી બીએ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને અમદાવાદમાં આસારામ બાપુ ના સમયમાં થતા કાર્યક્રમોના ટેન્ટ (તબું)બાંધવાનું અને સંચાલન કરવાનું કાર્ય પણ સુનિલ સંભાળતો હતો. હાલ તો ગુજરાત ATSની ટીમે આરોપીની વધુ પૂછપરછ થઈ શકે તે માટે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

(5:55 pm IST)