Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સૃષ્ટિ રૈયાણી કેસમાં જેતપુરની સેેશન્સ કોર્ટે મોટો ચુકાદો: જયેશ સરવૈયાને ફાંસીની સજા ફટકારી

જેતપુર સેશન્સ કોર્ટના જજ આર.આર ચૌધરીએ આ સજા સંભળાવી: પાંચ દિવસ પૂર્વે આરોપી જયેશ સરવૈયાને દોષિત ઠેરવવામાં આવ્યો હતો

સૃષ્ટિ રૈયાણી કેસમાં કોર્ટે આરોપી જયેશ ગિરધર સરવૈયાને ફાંસીની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, જેતપુર સેશન્સ કોર્ટના જજ આર.આર ચૌધરીએ આ સજા સંભળાવી છે. પાંચ દિવસ પૂર્વે સાત તારીખે આરોપી જયેશ સરવૈયાને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

કોર્ટ સંકુલમાં સૃષ્ટિ રૈયાણીના માતા પિતા તેમજ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર હર્ષ રૈયાણી પણ અન્ય પરિજનો સાથે આવ્યો હતો. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં સૃષ્ટિ રૈયાણીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તો બીજી તરફ સૃષ્ટિ રૈયાણી હત્યા કેસના ફરિયાદી અને સૃષ્ટિ રૈયાણીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં આરોપીને ફાંસીની જ સજા મળવી જોઈએ તે પ્રકારની માંગ કરી હતી. તો સમગ્ર મામલે આરોપી દ્વારા જે તે સમયે હર્ષ રૈયાણીને પાંચ જેટલા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. તેણે પણ મીડિયા સાથેની વાતચીતમાં કઈ રીતે 16 માર્ચના રોજ બનાવો બન્યો હતો તેની આપવીતી જણાવી હતી.

આર.આર ચૌધરી સાહેબની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવતા ચૌધરી સાહેબ દ્વારા આરોપીને પૂછવામાં આવ્યું હતું કે, તે કેટલું ભણેલો છે? તે છેલ્લા છ વર્ષમાં કઈ કઈ જગ્યાએ શું કામ કરતો હતો? તેમજ આરોપીના પિતા શું કામ કરે છે કઈ જગ્યાએ કામ કરે છે? આરોપીના પિતા પાસે ખેતીલાયક જમીન છે કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા એક કલાકનો સમય માંગવામાં આવ્યો હતો. તેમજ અંદાજિત 12:30 વાગ્યા આસપાસ કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી હતી.
16 માર્ચ 2021ના દિવસે જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની ધોરણ 11માં અભ્યાસ કરનારી વિદ્યાર્થીને જયેશ ગિરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના 34 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા હતા. તો સાથે જ સૃષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના પાંચ જેટલા ઘા ઝીંકવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. સૃષ્ટિ રૈયાણીની હત્યા કર્યા બાદ જયેશ ગિરધર સરવૈયા લોહીવાળા કપડાં તેમજ હત્યા કરેલી છરી સાથે ભર બજારેથી નીકળ્યો હતો.

(7:06 pm IST)