Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પંચમહાલ જીલ્લાના કલોલની એમજીપીસીએલ કચેરીને ખેડૂતોએ બાનમાં લીધીઃ તાલુકા અને ઇન્‍ડસ્‍ટ્રીઝનો પુરવઠો બંધ કરાવીને કચેરીના પટાંગણમાં રામધુન સાથે સૂત્રોચ્‍ચાર

તમામ ફીડરોનો વિજ પુરવઠો બંધ કરી દેતા ખળભળાટ મચી ગયો

પંચમહાલ: કાલોલની એમજીવીસીએલ કચેરીને ખેડૂતોએ બાનમાં લેતા કચેરીને તળાબંધી કરી સમગ્ર દિવસ દરમ્યાન કાલોલ તાલુકા અને ઇન્ડસ્ટ્રીઝનો વીજ પુરવઠો બંધ કરાવી કચેરીના પટાંગણમાં રામધૂન અને એમજીવીસીએલ હાય હાયના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું સિઝન દરમિયાન એમજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે છાસવારે સર્જાતા વીજ ધાંધિયાઓથી પરેશાન ગામલોકો અને ખેડૂતોએ આજે સવારે એમજીવીસીએલ કચેરી ખાતે જન આક્રોશ સાથે આંદોલન સ્વરૂપે એમજીવીસીએલ કચેરીની તાલાબંધી કરી રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત એમજીવીસીએલ કચેરી દ્વારા સપ્લાય કરવામાં આવતા કાલોલ જીઆઇડીસી અને કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તમામ ફીડરોનો વીજ પુરવઠો ખેડૂતોએ બંધ કરાવી દેતા એમજીવીસીએલ સહિત સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

કાલોલ તાલુકા વિસ્તારમાં કાર્યરત એમજીવીસીએલના વીજ ધાંધીયાઓ સામે ફાટી નીકળેલા જન આક્રોશ મામલે કાલોલ એમજીવીસીએલ કચેરી ખાતે કાલોલ તાલુકા ના મલાવ, મેદાપુર, અલવા, રાબોડ, તરવડા, કંડાચ, ડેરોલગામ, સાગાના મુવાડા સહિત અનેક ગામના લોકોએ એકત્ર થઈને એમજીવીસીએલ તંત્રની લાલીયાવાડી સામે ભારે રોષ પ્રગટ કર્યો હતો. એકત્રિત થયેલા ખેડૂતોના આક્ષેપો હતા કે, એમજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે પ્રિમોન્સુન કામગીરી ન થતા જરૂરી વીજલાઇનો સાફ નહી કરાતા સામાન્ય વરસાદના પગલે પણ છાસવારે વીજ પુરવઠો ડુલ થઈ જતા અનેક ગામોમાં અંધારપટ છવાઇ જાય છે. જેના નિરાકરણ માટે એમજીવીસીએલ તંત્ર દ્વારા નિયત સમયમાં વીજ પુરવઠો યથાવત કરવામાં આવતો નથી. તદ્ઉપરાંત એમજીવીસીએલના કમ્પલેન નંબર પર ફોન કરતા જવાબ આપવાની તસ્દી લેતા નથી.

રાત્રે વીજ પુરવઠો ખોરવાઇ જાય તો ફોનનું રીસીવર સાઈડમાં મુકીને લાપરવાહી દાખવતા કર્મચારીઓ, રાત્રે ઓછો સ્ટાફ સહિત મલાવ અલવા રાબોડ ગામમાં પાછલા છ-સાત દિવસોથી ચોવીસ કલાક સહિત ખેતીવાડીનો વીજ પુરવઠો બંધ હાલતમાં જોવા મળતો હોવાની તમામ સમસ્યાઓથી ખેડૂતો અને ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હોવાનું જણાવી ભારે રોષ ઠાલવ્યો હતો. જેથી કાયમી સમસ્યાઓના નિવારણ માટે એમજીવીસીએલ તંત્ર વિરુદ્ધ જન આંદોલન કરી એમજીવીસીએલ કચેરીની તાલાબંધી કરી ઔધોગિક એકમો સહિતના તમામ ફીડરો બંધ કરાવી દીધા હતા. કાલોલ એમજીવીસીએલના અણધાર્યા શટડાઉનને પગલે જીઆઇડીસી ના એકમો ને લાખો રૂપિયાનું નુકશાન જવા ની આશંકા સેવાઇ રહી છે.

આખો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા ની જેમ ચાલેલ ઘટના ક્રમ ને લઈ એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ સહિત જિલ્લા પ્રાંત અધિકારી, કાલોલ મામલતદાર, કાલોલ પોલીસ, કાલોલ જીઆઇડીસી, સ્થાનિક નેતાઓ સહિત સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું.તો સાથે જ અનેક રાજકીય અગ્રણીઓ એ પણ ખેડૂતો ના સુર માં સુર પુરાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.તંત્ર અને જવાબદાર અધિકારીઓએ વીજ પુરવઠો યથાવત કરવા માટે ખેડૂતો અને ગામલોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યાં સુધી ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સર્જાતા વીજ ધાંધિયાઓનું કાયમી નિરાકરણ લાવવામાં નહી આવે ત્યાં સુધી આંદોલન સ્થળ છોડવાની અને સમગ્ર એમજીવીસીએલનો વીજ પુરવઠો ચાલુ કરવામાં નહીં આવે તેવો‌ જન આક્રોશ ભભુકી ઉઠતા સાંજ સુધી કોઈ સમાધાનનો માર્ગ નહીં દેખાતા તંત્રની હાલત કફોડી બની હતી.

જો કે મોડે મોડે રાજકીય અગ્રણીઓ ની દરમ્યાનગીરી થી એમજીવીસીએલ ના અધિકારીઓ એ લેખિત માં બાંહેધરી પત્ર આપતા આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.ભારે સમજાવટ ને અંતે સમગ્ર કાલોલ તાલુકા નો વિજ પુરવઠો પૂર્વવત થયો હતો.જો કે નિર્ધારિત સમય મર્યાદા માં વીજ પુરવઠો નહિ મળે તો આગામી સમય માં ઉગ્ર આંદોલન ની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.

(4:59 pm IST)