Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

ગુજરાતમાં મફત સારવારનું વચન આપનાર કેજરીવાલે દિલ્‍હીમાં આયુષ્‍માન ભારત યોજના લાગુ નથી કરી?

આરટીઆઇમાં પર્દાફાશ થયો : ભાજપ મિડિયા કન્‍વીનર યજ્ઞેશ પટેલનું ટિવટ

અમદાવાદ તા. ૧૪ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો વચ્‍ચે આક્ષેપ-પ્રત્‍યાક્ષેપની જંગ જામી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઉતરી રહી છે. જેને લઈને અરવિંદ કેજરીવાલ ઘણીવાર ગુજરાત આવી ચૂકયા છે. જે દરમિયાન તેમણે વિવિધ ગેરંટીઓમાં ગુજરાતના નાગરિકોની સરકારી હોસ્‍પિટલમાં ફ્રી સારવારની પણ ગેરંટી આપી હતી. ત્‍યારે ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, કેજરીવાલે દિલ્‍હીમાં કેન્‍દ્ર સરકારની આયુષ્‍માન યોજના સરકારી અને પ્રાઈવેટ હોસ્‍પિટલોમાં શરૂ થવા દીધી નથી.

ગુજરાત ભાજપના મીડિયા કન્‍વીનર યજ્ઞેશ પટેલે ટ્‍વીટ કરીને જણાવ્‍યું કે, RTIથી પર્દાફાશ કેન્‍દ્ર સરકારની આયુષ્‍માન ભારત યોજના પબ્‍લિક અને પ્રાઈવેટ હોસ્‍પિટલોમાં રૂ.૫ લાખ સુધીની મેડિકલ ટ્રિટમેન્‍ટ મળે છે. આヘર્યની વાત એ છે કે ગુજરાતમાં આ મફત સારવારનું વચન આપનારી અરવિંદ કેજરીવાલ સરકારે આ યોજના દિલ્‍હીમાં હજુ સુધી શરૂ નથી થવા દીધી.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમિયાન સ્‍વાસ્‍થ્‍યની ગેરંટી આપી હતી. જેમાં તેમણે દરેક નાગરિક માટે નિઃશુલ્‍ક અને શ્રેષ્ઠ સારવાર, દવાઓ, ટેસ્‍ટ અને ઓપરેશન નિઃશુલ્‍ક કરવાની, દરેક ગામ અને વોર્ડમાં મોહલ્લા ક્‍લિનિક ખોલવાની. નવી સરકારી હોસ્‍પિટલ ખોલવાની તથા અકસ્‍માતગ્રસ્‍ત દર્દીઓની પણ ફ્રી સારવાર કરવાની ગેરંટી આપી હતી.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ત્રણ વર્ષ પહેલા આયુષ્‍માન ભારત યોજના લોન્‍ચ કરી હતી. જે દુનિયાની સૌથી મોટી હેલ્‍થ ઈન્‍શ્‍યોરન્‍સ સ્‍કીમ છે. તેમાં દેશના ૧૦ કરોડથી વધુ પરિવારોને રૂ.૫ લાખ સુધીનું વાર્ષિક હેલ્‍થ કવર મળે છે. સ્‍કીમમાં સામેલ કોઈપણ ખાનગી કે પ્રાઈવેટ હોસ્‍પિટલમાં કાર્ડ ધરાવતી દર્દી મફત સારવાર કરાવી શકે છે.

(11:44 am IST)