Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સુરતના પાંડેસરાની કૈલાશનગર ચોકડી નજીક બાઈક સ્લીપ થવાના કારણોસર યુવકનું કમકમાટીભર્યું મોત

સુરત:પાંડેસરાની કૈલાશનગર ચોકડી પાસે ગઈ કાલે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સ્લીપ થવાને કારણે ગંભીર ઈજા થતા યુવકનું મોત થઇ ગયું હતું. જ્યારે તેના બે સંબંધીઓને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણે જણા લગ્નની પત્રિકા વહેંચી બાઈક પર ટ્રિપલ સીટ પરત આવતા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ પુનિત નગરમાં રહેતા અનિલ વિઠ્ઠલ સોનવણે (ઉ.વ.32) તથા તેનો ભાણેજ નીતિન ભીમા મેરાડે (ઉ.વ.22) અને સાળો આકાશ પ્રતાપ સેદાને (ઉ.વ.20) આ ત્રણે જણા ગઈ કાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં બાઈક પર ટ્રિપલ સીટ પાંડેસરાની કૈલાશ નગર ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ ખાય જતા ત્રણેને ઈજાઓ થઇ હતી જ્યારે અનિલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે સાંજે અનિલનુ મોત થઇ ગયું હતું.

અનિલના પરિવારજનોએ જાણવ્યું હતું કે આગામી દિવસોમાં અનિલ સોનવણેની ભાણેજના લગ્ન છે. જેથી આ ત્રણે જણા ગઈ કાલે ભટાર આઝાદ નગરમાં લગ્નની કંકોત્રી આપવા માટે ગયા હતા અને પરત આવતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો. અનિલને સંતાનમાં એક પુત્ર છે અને તે છૂટક કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ અંગે પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(6:03 pm IST)