Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને પાલીતાણા શેત્રુંજય ડેમ વચ્ચે ‘સી’ પ્લેન ઉડશેઃ ઓક્ટોબર મહિનાથી પ્રારંભ થવાનું રાજ્ય સરકારનું આયોજન

રાજપીપળા: ગુજરાતના કેવડિયા ખાતે પીએમ મોદીએ ગત 31મી ઓક્ટોબર 2018ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. એ બાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે સાથે સાથે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક પ્રોજેક્ટો સરકારે હાથ ધર્યા છે. આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી ‘સી’ પ્લેન પણ ચાલુ થવા જઈ રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ‘સી’ પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કર્યા છે. એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે ‘સી’ પ્લેન ઉડશે. સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 પર ‘સી’ પ્લેન ઉતરશે, તો એના માટે નર્મદા વન વિભાગ દ્વારા લગભગ 250થી વધુ મગરોનું તળાવ નંબર 3માંથી રેસ્ક્યુ કરી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે મોકલી અપાયા છે. હાલમાં પણ વન વિભાગ દ્વારા મગરોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચે ‘સી’ પ્લેનની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી બાદ બન્નેવ રૂટ પર જેટી બનાવવામાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એવિએશન મિનિસ્ટ્રી સાથે કો-ઓર્ડિશન કરી હંગામી ટર્મિનલ પણ ઉભુ કરાશે. એ બાદ ઉડાન યોજના અંતર્ગત આ રૂટ પર ઓક્ટોબર મહિના સુધીમાં ‘સી’ પ્લેન ચાલુ કરવાનું આયોજન છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદી સંભવિત રીતે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આવી ‘સી’ પ્લેનનું ઉદ્ઘાટન કરશે. એ બાદ તેઓ મોટર માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં હાજરી આપવા રવાના થશે.

(5:01 pm IST)