Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પોઇચા બ્રિજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સમારકામ માટે સંપૂર્ણ બંધ રાખવા સૂચના અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો રંગ સેતુ બ્રિજના નિર્માણમાં કરોડો રૂપિયા ખર્ચાયા હતા.એ બ્રિજ બન્યા બાદ વાહનોના અવર જવર માટે ચાલુ રહેવા કરતા સમારકામ માટે બંધ વધુ રહ્યો છે.બ્રિજના નિર્માણ માં જેટલો ખર્ચ થયો છે તેના કરતાં વધુ ખર્ચ કદાચ એના સમારકામ પાછળ થયો છે ત્યારે એ બાબત બ્રિજ ના સમારકામ માં ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે. હાલમાં જ 5 મહિનાથી આ બ્રિજ સમારકામ માટે ભારે વાહનો માટે બંધ રખાયો હતો ત્યારે હાલમાં ફરી બ્રિજ 17/2/2021 થી 17/3/2021 સુધી સંપૂર્ણ બંધ રાખવા વડોદરા જિલ્લાના. કાર્યપાલક ઇજનેરે સરકાર પાસે મંજૂરી માંગી હતી, જોકે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે બ્રિજ સંપૂર્ણ બંધ નહિ રાખવા હુકમ કર્યો હોવાનું ડભોઇ માર્ગ મકાન વિભાગના ઇજનેર થોરાટ એ ટેલિફોનિક વાત માં જણાવ્યું હતું માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ બ્રિજ ને સંપૂર્ણ બંધ કરી બાકીનો કમગીરી કરાશે તેમ જાણવા મળ્યું છે.


અત્રે એ ઉલ્લેખનિય છે કે શ્રી રંગ સેતુ બ્રિજને 7/11/ 2020 ના રોજ આવેલા હળવા ભૂકંપના આંચકાને લીધે નુકશાન થયું હતું.ત્યારથી આ બ્રિજ ભારે વાહનોના અવરજવર માટે બંધ કરાયો છે.હવે બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં હોવાથી એક મહિના માટે સંપૂર્ણ બંધ રાખવાની તંત્રએ સરકાર પાસે મંજૂરી માંગી હતી જો કે એ અરજી હાલ પૂરતી ના મંજુર કરાઈ છે.એનું કારણ માત્ર ને માત્ર સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લીધે ચૂંટણી નિરીક્ષકો એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં જતા હોવાથી આ બ્રિજ સંપૂર્ણ બંધ ન રાખવા સૂચના અપાઈ છે.પરંતુ ચૂંટણી પતશે અને પરિણામ જાહેર થશે એ બાદ આ બ્રિજને સંપૂર્ણ બંધ કરાશે તેમ ઈજનેર દ્વારા જાણવા મળ્યું છે.
આ બ્રીજ બન્યા બાદ વારંવાર પોતાના નબળા બાંધકામને કારણે સમારકામ માટે બંધ કરવાની ફરજ પડતી હતી. અગાઉ પણ 2014 મા બે માસ કરતાં વધુ સમય માટે આ બ્રીજ સમારકામ માટે બંધ કરવામા આવ્યો હતો.ત્યાર બાદ સમયાંતરે સર્વિસ કે રીપેરીંગ ના કારણોસર ભારદારી વાહનો માટે કે આશિંક રીતે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.આ બ્રિજ બંધ થવાથી વડોદરા ધંધા સાથે જોડાયેલા લોકો અને તબીબી ઈમરજન્સી વધુ સઘન સારવાર માટે વડોદરાની હોસ્પીટલોના ચક્કર કાપતા દર્દીઓ અને ઈમરજન્સી સારવાર માટે વડોદરાની એસ.એસ.જી અને અન્ય હોસ્પીટલો ઉપર આધાર રાખતાં દર્દીઓ કફોડી હાલતમા મુકાઈ જશે તે નક્કી છે.

(11:36 pm IST)