Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ભરૂચમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં ભાજપના ૧૫૦ કાર્યકરો ‘આપ’માં જોડાયાઃ કેજરીવાલની નીતિ અને વિચારોથી પ્રભાવિત થયા

ભરૂચ: ભરૂચમાં ભાજપના  100 થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ છોડી આમ આદમી પાર્ટીની ટોપી પહેરી છે. ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર અને સેવાયજ્ઞ સમિતિના યુવા અગ્રણી અભિલેષ ગોહિલ સહિત 150 થી વધુ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભરૂચની એક હોટલમાં આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી, જેમાં ભાજપના 150 જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે.

આજે આમ આદમી પાર્ટીની હોટલ બેઠક યોજાઈ હતી. ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર અને માનવ સેવાયજ્ઞ સંસ્થાના યુવા અગ્રણી અભિલેષ ગોહિલ પોતાના 150 સમર્થકો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ સહસંગઠન મંત્રી હરેશ જોગરાના, જિલ્લા પ્રભારી કે.પી.શર્મા, જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં અભિલેષ ગોહિલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજે આમ આદમી પાર્ટીમાં જોડાનાર તમામને આવકાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરતા અભિલેષ ગોહિલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કેજરીવાલની નીતિ અને વિચારોથી પ્રભાવિત થઈ આપમાં જોડાયો છું.

તો બીજી તરફ, આપ પાર્ટીનો નવો ચહેરો ઇસુદાન ગઢવી સુરતની મુલાકાતે પહોંચ્યા હત. તક્ષશીલા આર્કેડની મુલાકાત લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, પરિવર્તન જરૂરથી આવશે. ઓછા ભણેલા લોકો પણ કામ કરી શકશે તો તેમને તક આપવામાં આવશે.

(4:29 pm IST)