Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમદાવાદના પાલડીના પોલીસ કર્મચારી ઉમે ભાટીયાના આપઘાતનું કારણ અકબંધઃ નિષ્‍ઠાવાન કર્મચારી તરીકે ઓળખ હતી, વિવાદમાં પણ ઘેરાયા ન હતા

અમદાવાદ: પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીએ કરેલા આપઘાતનો મામલો એક કોયડો બન્યો છે. ગઈકાલે ઉમેશ ભાટીયા નામના રાઈટરે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. પરંતુ હીજી સુધી પોલીસને આપઘાત પાછળનું કારણ નથી મળ્યું. પરંતુ સવાલ એ છે કે, ઉમેશ ભાટીયા હંમેશા ફરજમાં નિષ્ઠાવાન પોલીસકર્મી તરીકે ઓળખાતા હતા. ક્યારેય કામ સિવાય કોઈ વિવાદમાં આવતા ન હતા. ત્યારે આખરે આવુ કરવા પાછળ શું કારણ હતું.

મરતા પહેલા વોટ્સએપ સ્ટેટસમાં બાય બાયનું ઈમોજિસ મૂક્યું

ઉમેશ ભાટીયાએ ફરજ દરમિયાન એકાઉન્ટ ઓફિસમાં પોતાની ખુરશી ઉપર બેસીને લમણા ભાગે ગોળી મારી આપઘાત કર્યો છે. આજે સવારે નોકરી પર આવ્યા બાદ ઓફિસને અંદરથી બંધ કરીને પોતાના લમણે ગોળી મારી હતી. પરંતુ ઉમેશ ભાટીયાની આત્મહત્યા અનેક સવાલો પેદા કરે છે. ઉમેશ ભાટિયા એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા ત્યારે કોઈ અધિકારીને કામની ચિંતા નહોતી રહેતી. તેમજ આત્મહત્યા પહેલા ઉમેશ ભાટિયાએ વોટ્સએપ સ્ટેટ્સમાં બાય બાયના ઇમોજિસ પણ મૂક્યા હતા. ત્યારે કર્મનિષ્ઠ પોલીસ કર્મીના મોતથી પોલીસ સ્ટેશનમાં દુઃખનો માહોલ છવાયો છે. પોલીસકર્મીને અંતિમક્રિયા દરમિયાન પોલીસે ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું.

ઉમેશે આત્મહત્યા કરવા વાપરેલી હથિયારની બુલેટ ન મળતા પોલીસ અને FSL ની ટીમ તેને શોધવા કામે લાગી છે. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ અને બાજુના બિલ્ડીંગમાં બૂલેટ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર કેસની તપાસ ACP એન ડિવિઝનને સોપાઈ છે.

પરિવારે ઉમેશની હત્યાની આશંકા વ્યક્ત કરી

ગઈકાલે ઉમેશ ભાટિયાના પરિવારજનોએ તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરિવારજનોએ ઉમેશ ભાટિયાની હત્યા થયાની આશંકા વ્યક્ત કરી છે. તેમના પિતા માનવા તૈયાર નથી કે, ઉમેશ આત્મહત્યા કરી શકે. પિતાએ આરોપ મૂક્યો કે, ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસ 302 અંતર્ગત ફરિયાદ નોંધે.

તો બીજી તરફ, ગઈકાલે 4 કલાકની સમજાવટ બાદ પરિવાર પીએમ માટે તૈયાર થયો હતો. પોલીસકર્મીની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પરિવારજનો સાથે પોલીસ અધિકારીઓ સંપર્કમાં રહીને તેઓને તમામ મદદ માટે પોલીસે આશ્વાસન આપ્યું હતું.

(4:25 pm IST)