Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સહાય માટે ૧ર લાખ ખેડૂતો નોંધાયા : કાલથી ચૂકવણાના શ્રીગણેશ

વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલ ૩૭૦૦ કરોડના અતિવૃષ્ટિ પેકેજના લાભાર્થીઓના ખાતામાં પહેલા નોરતાથી નાણા જમા થવા લાગશે : ગુજરાતમાં પ્રથમ વખત પી.એમ.એફ.એસ.થી મોટાપાયે ચૂકવણું : કૃષિ સચિવ મનીષ ભારદ્વાજની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૧૬ : રાજ્ય સરકારે ચોમાસાના ઉતરાર્ધમાં પડેલ વધુ વરસાદથી ખેડૂતોને વાવેતરમાં થયેલ નુકસાનના વળતર પેટે રૂ. ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કરેલ. ખેડૂતોને નુકસાનીનો સર્વે પૂરો થઇ ગયો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઇચ્છા મુજબ આવતીકાલે પહેલા નોરતાથી ખેડૂતોના ખાતામાં સહાયના નાણા જમા થવા લાગશે. આર.ટી.જી.એસ.થી એક ડગલુ આગળ વધીને પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમથી ચૂકવણુ થશે.

રાજ્યના કૃષિ અને સહકાર ખાતાના સચિવશ્રી મનીષ ભારદ્વાજએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇએ જાહેર કરેલ અતિવૃષ્ટિ સહાય પેકેજમાં ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાઓના ૭૯૦૦ જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે. સર્વે લગભગ પૂરો થઇ ગયો છે. ૨૭ લાખ જેટલા ખેડૂતોને રૂ. ૫ હજારથી ૨૦ હજાર સુધીની સહાય મળવાપાત્ર હોવાનો અંદાજ છે. સહાય મેળવવા ઓનલાઇન અરજીઓ મંગાવાતા આજ સુધીમાં ૧૨ લાખ ખેડૂતોની અરજીઓ આવી છે. જેમાંથી ૧ લાખ ખેડૂતોની અરજીઓ મંજૂર થઇ ગઇ છે. બાકીની અરજીઓની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે. અરજીઓ સ્વીકારવાનું પણ ચાલુ છે.

શ્રી ભારદ્વાજે જણાવેલ કે, ખેડૂતોને નાણાચુકવણીની પ્રક્રિયા વધુ ઝડપી અને ક્ષતિરહિત બનાવવા માટે પી.એમ.એસ.નો અમલ કરાયો છે.

 કેન્દ્રની મંજૂરી મળી છે. ગુજરાતમાં મોટાપાયે નાણા ચુકવવા પ્રથમ વખત આ પધ્ધતિ અમલમાં આવી છે. ઓકટોબર અંત સુધીમાં આવેલ તમામ અરજીઓની ચકાસણી કરી ખેડૂતોને મળવાપાત્ર સહાય ચુકવી દેવાની ગણતરી છે.

(11:47 am IST)