Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

રાજ્‍યમાં સાર્વત્રિક વરસાદથી સર્વત્ર પાણી-પાણીઃ આજવા સરોવરમાંથી 3150 ક્‍યુસેક પાણી વડોદરાની વિશ્વામિત્રી નદીમાં છોડાતા જળ સપાટીમાં વધારો

વડોદરાઃ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે ડેમ, સરોવરની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. તો બીજીતરફ વરસાદ પણ ચાલુ રહેવાને કારણે અન્ય ડેમ, સરોવરમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. પાણી છોડવાને કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજવા સરોવરમાંથી 3150 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. પાણી છોડવાને કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થવાનો છે. હાલ નદીની સપાટી 18.50 ફુટ છે. તો તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને ઘરે પાછા ન ફરવાની અપીલ કરી છે.

વિશ્વામિત્રીની જળ સપાટી વધતા ખતરાની સ્થિતિ

એક તરફ સતત વધી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પણ થઈ રહેલા સારા વરસાદને કારણે વડોદરા જિલ્લાના ડેમ, સરોવરની જળ સપાટી વધી રહી છે. આ કારણે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે. બીજીતરફ વિશ્વામિત્રીની વધતી જળસપાટી વડોદરાના લોકોની ચિંતા પણ વધારી રહી છે. વિશ્વામિત્રી નદી જો પાણીની આવક સતત ચાલુ રહે તો શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હાલ તો તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઘરે પરત ન ફરવાની અપીલ કરી છે. તો તંત્ર દ્વારા કાલાઘોડા બ્રિજ પર પતરા મારી દેવામાં આવ્યા છે.

ભરૂચમાં 11 ગામોને એલર્ટ કરાયા

ભરૂચ જિલ્લામાં પણ સતત વરસાદને કારણે નેત્રંગ ખાતે બલદવા, પીટોંગ અને ધોલી ડેમ ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે 11 ગામોને એલર્ટ કરાયા છે. ધોડી ડેમ ઓવરફ્લો થતા મધુમતી નદી ગાંડીતુર બની છે. ડેમમાં પાણીની જળ સપાટી વધવાને કારણે ધોલી, રઝલવાડા, મોટાસોરવા, રાજપારડી, ભીલવાડા, કાંટોલ, સારસા, પાટ, વણાંકપોર, જરસાડ, રાજપરા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

(5:41 pm IST)