Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સૌનો, નરેન્‍દ્ર મોદી

‘‘સૌનો'' શબ્‍દએ નરેન્‍દ્રભાઈ મોદીના પાંચ દાયકાની વિચાર-કાર્યશક્‍તિની એકસૂત્રતાની મંત્ર સાધના છે

સૌનો સાથ-સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ-સૌનો પ્રયાસઃ સૌના... નરેન્‍દ્રભાઈ મોદીને જન્‍મદિવસની હૃદયપૂર્વકની શુભેચ્‍છાઓ...

શ્રી નરેન્‍દ્રભાઈ મોદી એ વિઝનરી લીડર છે. તેમની વિચાર-કાર્યપદ્ધતિ એ વર્ષો સુધી સાતત્‍યપૂર્ણ હોય છે. તેઓ એક શબ્‍દને પસંદ કરે છે તેને સૂત્ર બનાવીને કાયમી રીતે એકશન મંત્ર બનાવી દે છે.
તેઓ લગભગ ૧૫ વર્ષ પ્રચારક, ૧૫ વર્ષ ભાજપ સંગઠનમાં, ૧૩ વર્ષ મુખ્‍યમંત્રી અને ૮ વર્ષ તરીકે પ્રધાનમંત્રી-પ્રધાનસેવક તરીકે કામ કરી રહ્યાં છે. જયારે તેઓ પ્રચારક અને પ્રદેશ મહામંત્રી હતાં ત્‍યારે સ્‍વયંસેવક અને કાર્યકર્તાઓને પ્રાસંગિક રીતે પત્ર લખતાં અને કાર્યકર્તાઓ પત્રનો જવાબ પણ આપતાં હતાં. તેઓ પહેલેથી જ જવાબદેહી પ્રકૃતિ ધરાવે છે. મને પણ ૧૯૮૪માં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ૭ પાનાનો પત્ર લખેલો તે મારા જીવનનો પ્રેરણામંત્ર બની ગયો હતો. પત્રમાં છેલ્લે, ‘સૌનો' લખીને ‘નરેન્‍દ્ર મોદી' સહી કરતાં હતાં.તેમનો આ ‘સૌનો' શબ્‍દ લગભગ ૩૫ વર્ષની સફર ખેડીને તેના અન્‍ય શબ્‍દ-ભાવ-કૃતી એકસૂત્રતા ઉમેરાતી ગઈ.
‘‘સૌનો સાથ-સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ-સૌનો પ્રયાસ''
આ સૂત્ર મંત્ર શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ૫૦ વર્ષની વિચાર કાર્યપદ્ધતિની એકસૂત્રતાની સાધના છે. દેશહિત-જનહિત માટેના દિશાદર્શન સાથેની એક લાંબી તપશ્ચર્યા છે.
મારો ભાજપ, સૌનો ભાજપઃ
પ્રદેશ મહામંત્રી સમયે ભાજપના સંગઠનને સર્વવ્‍યાપી, સર્વસ્‍પર્શી બનાવવા માટે મિટીંગોમાં વિસ્‍તૃત વિચારો મુકતાં હતાં. કાર્યકર્તાનું ભાજપ સાથેનું અટેચમેન્‍ટ વધુ મજબૂત બને અને તમામ સમાજ, વર્ગ, વિસ્‍તાર સાથે કનેકટ થાય તેવું તેમણે એક સૂત્ર આપ્‍યું.
‘મારો ભાજપ-સારો ભાજપ, મારો ભાજપ-સૌનો ભાજપ' આ સૂત્રથી કાર્યકર્તા અને દરેક સમાજ સાથે સારી રાજનીતિનો લગાવ, જોડાણ વધ્‍યું. ભાજપમાં તેઓએ પ્રતિષ્ઠિત લોકો જેવાં કે, વેપારી, વકિલ, ડોકટર્સ, અધ્‍યાપકો, શિક્ષકો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિક વર્ગ સહિત તમામ વર્ગ અને સમાજને જોડવાનો સફળ પ્રયાસ કર્યો હતો. સમાજ શ્રેષ્ઠીઓ, સેવાભાવી વ્‍યક્‍તિઓ, શિક્ષિત વર્ગ માંથી નવી ભરતી કરીને ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવ્‍યું હતું. શહેરી અને ગ્રામ્‍ય સ્‍તર સુધી ભાજપ સંગઠનને વિસ્‍તૃત કરીને ‘મારો ભાજપ-સૌનો ભાજપ'ના સૂત્રને સાર્થક કર્યું.
સૌનો સાથ-સૌનો વિકાસ
ગુજરાતમાં ૨૦૦૦ની સાલમાં વિસ્‍તારમાં અતિવૃષ્ટિના કારણે પૂરની પરિસ્‍થિતિમાં અમદાવાદ સહિત કેટલાંક શહેરો-ગામો અસરગ્રસ્‍ત થયાં હતાં. તેવા છાપામાં સમાચારો આવતાં અને ગુજરાત ‘ડૂબી ગયું. ડૂબી ગયું' તેવું રાજય બહાર પણ વાતાવરણ બનતું હતું. ૨૦૦૧માં આવેલ ભૂકંપને કારણે ગુજરાતના કેટલાંક વિસ્‍તાર અને ખાસ કરીને કચ્‍છમાં અનેક બિલ્‍ડીંગો, ઘર, દૂકાનો પડી ગયાં હતાં. ત્‍યારે ગુજરાત ‘ભાંગી ગયું, ભાંગી ગયું' તેવું દેશ-દુનિયામાં સમાચારો છવાઈ ગયાં હતાં. ૨૦૦૧માં શ્રી નરેન્‍દ્રભાઈ મોદી મુખ્‍યમંત્રી બન્‍યાં અને થોડાંક મહિનામાં ૨૦૦૨માં સાબરમતી ટ્રેનમાં ગોધરા કાંડ થયો ત્‍યારે ગુજરાત વિરોધીઓએ ‘ગુજરાત સળગી ગયું, સળગી ગયું' તેવો અતિ અપપ્રચાર કર્યો. તે સમય શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સહેજ પણ વિચલિત થયાં વગર ગુજરાતના સર્વાંગી વિકાસ, માન-સન્‍માન ગૌરવ માટે એક લોકસેવક અને લોકનાયકની જેમ ઝઝૂમ્‍યાં. આ સમયે ‘સૌનો સાથ, સૌનો વિકાસ' સૂત્ર સાથે અનેક ગરીબલક્ષી, રોજગારલક્ષી, વિકાસલક્ષી યોજનાઓ, કાર્યક્રમો, પ્રોજેકટોની હારમાળા સર્જી હતી. ગુજરાતને બેઠું જ નહીં પરંતુ ગુજરાતને વિકાસના પથ પર દોડતું કરી દીધું અને દેશમાં ગુજરાત મૂડીરોકાણ, રોજગાર, કૃષિ અને શિક્ષણક્ષેત્રમાં અગ્રેસર રહ્યું.
સૌનો સાથ (સૌને ન્‍યાય-સૌનું સન્‍માન)
સૌનો સાથ કયારે મળે ?  જયારે સૌને ન્‍યાય મળે અને સૌનું માન-સન્‍માન સચવાય અને સૌનો વિકાસ થાય તે માટે સમાજનાં ઉત્‍કર્ષ, એકતા માટેના નિર્ણયો લેવાં માટેનો તેમણે પ્રામાણિક પ્રયાસ કર્યો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં એક પ્રકિયા હોય છે કે SC & ST રાજકીય અનામતને દર ૧૦ વર્ષે રીન્‍યુ કરવામાં આવતી હોય છે. તે સમયે SC & ST અનામતના ગૌરવ સાથે યથાવત રાખવામાં આવી હતી. પ્રધાનમંત્રી સમયે OBC ને કાયદાકીય સ્‍વરૂપ આપીને સંસદમાં બીલ પસાર કરીને સૌ પ્રથમવાર માન્‍યતા સાથે સામાજીક ન્‍યાય આપવાનું કામ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભાજપ સરકારે કર્યું અને અન્‍ય સમાજની લાગણીને ધ્‍યાનમાં રાખીને આર્થિક રીતે નબળા સમાજ છે તેને પણ ૧૦ ટકા EBC અનામત આપવાનો શુભારંભ ગુજરાતથી કરવામાં આવ્‍યો. આ બધાં જ નિર્ણયો ‘સૌને ન્‍યાય' આપવામાં મકકમ અને ઐતિહાસિક નિર્ણયો હતાં.
સૌને સન્‍માન
મને યાદ છે કે ૨૦૦૧માં સંસ્‍કારધામમાં સંધના સિનીયર પ્રચારકો અને સેવાવ્રતીઓના સન્‍માન માટે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘તપોવંદના' કાર્યક્રમ કર્યો હતો. મુખ્‍યમંત્રી બન્‍યાં પછી ગુજરાત કોલેજમાં યોજાયેલ ‘ગુરૂવંદના' કાર્યક્રમમાં તેમણે પોતાને ભણાવેલાં તમામ શિક્ષકોને વંદન કરીને સન્‍માનિત કર્યાં હતાં. ૨૦૧૦માં ગુજરાતનાં ૫૦ વર્ષ પૂર્ણ થતાં હતાં ત્‍યારે દરેક રાજકીય પાર્ટીના ૫૦ વર્ષમાં જે પણ ધારાસભ્‍ય, સંસદસભ્‍ય ચૂંટાયા હતાં. તે તમામને બોલાવીને વિધાનસભા ગૃહનું એક વિશેષ સત્ર બોલાવીને માન-સન્‍માન કર્યું. ફોટોસેશન અને તેમણે તમામનું પરીચય પુસ્‍તક આપવામાં આવ્‍યું હતું. સ્‍વર્ણિમ યાત્રા દ્વારા દરેક ગામમાં સિનીયર સીટીઝન, વયવંદના, સૌથી ભણેલી દિકરી કે વહુ, પ્રગતિશીલ ખેડૂત, દાતાઓનું સન્‍માન કર્યું હતું. અનેકવાર સરપંચોને ગાંધીનગર બોલાવીને માન-સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશના મહાપુરૂષોને સન્‍માન આપવાની પરંપરા શરૂ કરી. આઝાદીના ૫૫ વર્ષ પછી ક્રાંતિવીર શ્‍યામજીકૃષ્‍ણ વર્માના અસ્‍થિને જીનીવાના મ્‍યુઝીયમ માંથી લાવીને ‘વિરાંજલી યાત્રા' કચ્‍છના માંડવી સુધી કાઢવામાં આવી હતી અને માંડવી ખાતે ‘ઈન્‍ડીયા હાઉસ' સન્‍માન સ્‍મારક બનાવવામાં આવ્‍યું. ગાંધીજી-મહાત્‍મા મંદિર, દાંડી કૂટીર હોય કે સરદાર પટેલના માન-સન્‍માન ગૌરવ માટે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, ડો.બાબાસાહેબ આંબેડકરજીની સાથે જોડાયેલ પંચતીર્થનું નિર્માણ તેમજ દરેક શહીદોના સન્‍માન માટે દિલ્‍હીમાં ભવ્‍ય શહીદ સ્‍મારક બનાવ્‍યું. હમણાં જ નવા સંસદભવનમાં આંગણાંમાં સ્‍વાતંત્ર્યસેનાની સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવામાં આવી. શ્રી નરેન્‍દ્રભાઈ જે રાજયોમાં જાય છે તે રાજયોના સંતો, સ્‍વાતંત્ર્ય સેનાનીઓ, મહાપુરૂષોને વગેરેના હંમેશા યાદ કરે છે.
સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ
શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જીવનનું એક રહસ્‍ય એ છે કે તેઓ કયારેય પોતાના ખિસ્‍સામાં પૈસાનું પાકીટ રાખતાં ન હતાં. મેં કયારેય તેમના ખિસ્‍સામાં પાકિટ રાખતાં જોયાં નથી. પૈસા પ્રત્‍યે સંપૂર્ણ નિર્લેપ રહ્યાં છે. ખિસ્‍સું ખાલી પરંતુ હૃદય (દિલ) સંવેદનાથી ભરેલુ રહ્યું છે. તત્‍કાલિન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીનું કબૂલાતનામું હતું કે ‘હું દિલ્‍હીથી ૧ રૂ. મોકલું છું અને છેક નીચે સુધી પહોંચતા માત્ર ૧૫ પૈસા પહોંચે છે',એટલે કે, ૧ રૂ માંથી ૮૫ પૈસાનો ભ્રષ્ટાચાર રોકવા માટેનું કોઈ એકશન કે સોલ્‍યુશન ન હતું.
શ્રી મોદીજીને પહેલેથી જ સિસ્‍ટમ્‍સ ચેન્‍જ કરવાનું ઝનુન હતું. DBT માધ્‍યમથી ૫૩ મંત્રાલયોની ૩૧૯ યોજનાઓ દ્વારા અત્‍યાર સુધીમાં ૨૫ લાખ કરોડ ટ્રાન્‍જેકશન દ્વારા દેશના  કરોડો લાભાર્થીઓના બેંક ખાતામાં સીધેસીધાં યોજનાઓના પૈસા પહોંચાડ્‍યા છે. DBT માધ્‍યમથી ૨.૨૨ લાખ કરોડ રૂ.નો ભ્રષ્ટાચાર અટકાવ્‍યો છે.  કિસાન સન્‍માન નિધીમાં ૧૧ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂ.૬૦૦૦ આવે છે.  દેશના લગભગ ૫૦ કરોડ લોકોને ૫ લાખ રૂ.સુધીની મફત સારવાર માટે આયુષ્‍યમાન કાર્ડ મળી રહ્યાં છે. કોવિડમાં ૮૦ કરોડ લોકોને ૨ વર્ષ સુધી મફત અનાજ આપવા આપવામાં આવ્‍યું. ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ આજે કોઈપણ જ્ઞાતિ, સમાજનો વ્‍યક્‍તિ ફોન કરીને બોલાવી શકે છે. મહિલા,યુવા,ખેડૂત, ગરીબ, દિવ્‍યાંગ સહિત અનેક યોજનાઓ અને જન્‍મ થી માંડીને મૃત્‍યુ સુધીની યોજનાઓ દ્વારા ભાજપની સરકાર લોકોની પડખે ઊભી છે. આ સરકાર સૌની છે. એટલે જ, જનતાનો શ્રી મોદીજીમાં રહેલો વિશ્વાસ ઉત્તરોત્તર વધતો જાય છે.
સૌનો પ્રયાસ
શ્રી લાલબહાદૂર શાષાીજી પછી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહવાનથી જે તે કાર્ય કે કાર્યક્રમમાં દેશની જનતા જોડાય છે. સ્‍વચ્‍છતા અભિયાનમાં લોકોના સહકારથી ૧૧ કરોડથી વધુ શૌચાલય બનાવીને દેશની જનતાના પ્રયાસથી ૬ લાખ ગામો ખુલ્લામાં શૌચમુકત થયાં. કોરોના વોરીયર્સને બિરદાવામાં લોકોએ રાત્રે લાઈટ બંધ કરીને દિપ પ્રગટાવી, થાળી-શંખ વગાડીને જોડાયાં હતાં. તાજેતરમાં તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમ્‍યાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરેકને નાગરીક પોતાના દ્યર-દૂકાન ઓફિસ વગેરે પર રાષ્ટ્રધ્‍વજ ગૌરવભેર ફરકાવ્‍યો હતો. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આ પ્રકારના સામાજીક-રાષ્ટ્રીય મુદ્દાઓ પરના આહવાનથી દેશની જનતા જનાર્દનનો સાથ-સહકાર મળી રહ્યો છે.
શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દરેકને પોતાના માને છે, તેવી રીતે જ જનતા જનાર્દન પણ શ્રી નરેન્‍દ્રભાઈને પોતાના જ માને છે. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ‘સૌનો' શબ્‍દ એ ભાજપ સંગઠનમાં ‘સર્વવ્‍યાપી' સૂત્ર બન્‍યો પછી સરકારની કાર્યપ્રણાલીનું ‘પ્રતિક' અને હવે, પ્રજામાનસમાં ‘એકતામંત્ર' બની ગયો છે. સૌનો સાથ-સૌનો વિકાસ, સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ, આ સૂત્ર પછી જનતાના મન-હ્યદય સુધી ‘સૌનું ભારત, સૌના નરેન્‍દ્ર મોદી', આ સૂત્રની પણ અનૂભુતિ પહોંચી છે.
સૌના...નરેન્‍દ્રભાઈ મોદીને જન્‍મદિવસની હૃદયપૂર્વકની શુભેચ્‍છાઓ...

 

 

શ્રી ભરત પંડયા
(લેખકઃ પૂર્વ પ્રદેશ પ્રવકતા, ભાજપ અને પૂર્વ ધારાસભ્‍ય)

(11:40 am IST)