Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલરાજ્યકક્ષાના અને મંત્રીઓ-પદાધિકારીઓ જિલ્લા કક્ષાના વિવિધ સેવા કાર્યક્રમો-વિકાસ કામોમાં સહભાગી થયા

મહિલા સશક્તિકરણની વડાપ્રધાનની પ્રતિબદ્ધતા ગુજરાતે સાકાર કરી: વડાપ્રધાનના જન્મદિને ૩૩ જિલ્લામાં ર૩ હજારથી વધુ સ્વસહાય જૂથોની અઢી લાખ જેટલી બહેનોને રૂ. ૩૦૬ કરોડની સહાયથી આત્મનિર્ભરતાનો રાહ મળ્યો:‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે અમદાવાદમાં ૧.૭૫ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ: કલાયમેટ ચેન્જ સામે પંચામૃત જાગૃતિ પખવાડિયાનો રાજ્યવ્યાપી શુભારંભ: સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ-રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ-ર૮ દિવસમાં ૧૭પ કોલેજ-યુનિવર્સિટીઓના યુવા સ્ટાર્ટઅપના શોધ-સંશોધનને મળશે પ્લેટફોર્મ: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ‘શોધ’ અને SSIP 2.0 અન્વયે કુલ રૂ. ૧૪ કરોડની સહાય વિતરણ

ગાંધીનગર :વિશ્વના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરને તેમના વતન રાજ્ય ગુજરાતે અનેકવિધ સેવા કામો અને વિકાસ કાર્યોની શૃંખલાથી સેવા સમર્પિત દિવસ તરીકે મનાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના માર્ગદર્શનમાં મંત્રીમંડળના મંત્રીરીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો રાજ્યના ૩૩ જિલ્લાઓમાં આવા સેવા સમર્પિત કાર્યક્રમો દરમિયાન જનસમૂહના ઉલ્લાસ અને ઉમંગમાં સહભાગી થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણથી નારીશક્તિના સામર્થ્યને વધુ ઊજાગર કરવાની નેમ રાખેલી છે. માતા-બહેનો આત્મનિર્ભર બને, સ્વાવલંબી બને એટલું જ નહિ ઘર પરિવારનો આર્થિક આધાર બને તેવા તેમના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે નક્કર કદમ ઉઠાવ્યું છે.
નાના વ્યવસાય, ગૃહ ઉદ્યોગ દ્વારા ઘર-પરિવારનું ગુજરાન ચલાવવામાં સહાયક થતી માતા-બહેનોના સ્વ-સહાય જૂથોને લોન સહાય આપવાનો ઉદાત્ત અભિગમ વડાપ્રધાનના જન્મદિને રાજ્ય સરકારે ચરિતાર્થ કર્યો છે.
દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા દીનદયાળ અંત્યોદય યોજના અન્વયે રાજ્યભરની ગ્રામીણ અને શહેરી વિસ્તારોની કુલ અઢી લાખથી વધુ માતા-બહેનોના ર૩,૮ર૯ સ્વસહાય જુથોને એકજ દિવસમાં ૩૦૬ કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના અધ્યક્ષસ્થાને આ સહાય વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનના જન્મદિવસ અવસરે અમદાવાદ મહાનગરના કુલ ૫૦ કરોડ રૂપિયાના લોકાર્પણ -ખાતમુહૂર્તના કામોની ભેટ આપી હતી.
વડાપ્રધાન જલવાયુ પરિવર્તન ક્લાયમેટ ચેન્જ વિષયે સતત દેશવાસીઓને સજાગ રાખી આ સંકટથી ઉગારવાના ઉપાયો માટે વૈશ્વિકસ્તરે પણ સુઝાવ આપતા રહ્યા છે.
તેમના જન્મદિવસથી ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગે ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે પંચામૃત યુવા જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. એટલું જ નહીં, ઉદ્યોગ જગત દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પહેલરૂપે રાજ્ય સરકાર અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે એમઓયુ પણ સંપન્ન થયા છે.
સાથોસાાથ કલાયમેટ ચેંજ વિષયે રિસર્ચ એન્ડ ઇનોવેશન પ્રોત્સાહન માટે રાજ્ય સરકારે એમ.એસ. યુનિવર્સિટી સાથે અને IITE દ્વારા શિક્ષકોને આ વિષયે અભ્યાસ તાલીમ માટે પણ MoU કરીને વડાપ્રધાનના કલાયમેટ ચેંજ સાથે ‘કન્વીનઅન્ટ એકશન’માં સૂર પૂરાવ્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ વડાપ્રધાનના જન્મદિવસે સેવા સમર્પિત ભાવને સ્વાસ્થ્ય સાથે જોડીને શહેરમાં ઓક્સિજન પાર્કના નિર્માણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. ‘મિશન મિલીયન ટ્રીઝ’ અન્વયે આવા ઓક્સિજન પાર્કમાં ૧ લાખ ૭પ હજાર વૃક્ષો વાવીને ગ્રીન-ક્લિન એન્વાયરમેન્ટની નરેન્દ્રભાઇ મોદીની નેમ પાર પાડવાનો સફળ આયામ હાથ ધરાવાનો છે.
યુવાશક્તિના પ્રેરણાસ્ત્રોત અને યુવાશક્તિના સ્કીલ ડેવલપમેન્ટથી નયા ભારતના નિર્માણના પ્રણેતા વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રાજ્યમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટીવલનો પણ પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કરાવ્યો છે.
આગામી ૧પ ઓક્ટોબર-ર૦રર સુધી એટલે કે, ર૮ દિવસ આ ફેસ્ટીવલમાં રાજ્યભરની ૧૭પ કોલેજીસ અને વિવિધ યુનિવર્સિટીમાં યોજાશે તથા યુવા સ્ટાર્ટઅપના ઇનોવેશન એન્ડ રિસર્ચને પ્લેટફોર્મ પુરૂં પાડશે.
વડાપ્રધાનએ યુવાઓના સામર્થ્યને, તેમનામાં પડેલી શોધ-સંશોધન શક્તિને યોગ્ય તક આપી ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક આધાર આપવાનો અભિગમ અપનાવ્યો છે.
આ અભિગમને વધુ વેગ આપવા ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એકજ દિવસમાં ૧૪૧૯ હોનહાર યુવા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૦.૧૧ કરોડની સહાય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં આપવામાં આવી છે.
પી.એચ.ડી જેવા ઉચ્ચ સંશોધન અભ્યાસ કરતા ૯૩૦ છાત્રોને ‘શોધ’ અન્વયે કુલ રૂ. ૧.ઘ૯ કરોડ વડાપ્રધાનના જન્મદિવસે અપાયા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાનો જે અભિગમ અપનાવ્યો છે તેને ગુજરાતે SSIP 2.0 પોલિસીથી વધુ વેગવંતો કર્યો છે.
  નરેન્દ્રભાઇના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બર શનિવારે ર૦ જેટલી કોલેજ અને યુનિવર્સિટીઝને રૂ. ૩.૧ર કરોડની રકમ ફાળવવામાં આવી છે.
વડાપ્રધાનના પૈતૃક નગર વડનગરથી તેમની વૈશ્વિક નેતા સુધીની સફળ યાાત્રા તથા તેમના જીવન-કવન આધારિત ચિત્ર પ્રદર્શન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે અમદાવાદમાં ખૂલ્લું મુકવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સેવા સંગઠનો, સમાજો દ્વારા રકતદાન શિબિર જેવા સેવાકીય કાર્યક્રમો દ્વારા પણ વડાપ્રધાનનો આ જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં સેવા સમર્પિત દિવસ તરીકે જન ઉમંગ અને જનભાગીદારીથી ઉજવવામાં આવ્યો હતો.

(8:13 pm IST)