Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

ભાજપે 26 વર્ષથી આહીર સમાજને પ્રાધાન્ય આપી મંત્રીપદો આપ્યા છે: જવાહર ચાવડા

સન્માન સમારોહના કાર્યક્રમમાં મંત્રી જવાહર ચાવડા, ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અજીતભાઈ આહીરનું સન્માન કરવામાં આવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :  કોંગ્રેસે ભૂતકાળમાં આહીર સમાજને ક્યારેય પ્રાધાન્ય આપ્યું નથી. મંત્રીપદમાં પણ અવગણના કરાઇ છે જ્યારે ગુજરાતની ભાજપે 26 વર્ષથી આહીર સમાજને પ્રાધાન્ય આપી મંત્રીપદો આપ્યા હોવાનું વલસાડમાં યોજાયેલા આહિર સમાજના ચૂંટાયેલા હોદ્દેદારોના સન્માન સમારોહ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ મંચ પરથી જણાવ્યું હતું.
ગતરોજ મોડી સાંજે વલસાડના કૈલાસ રોડ સ્થિત સાંઇમિલન સાંસ્કૃતિક હોલમાં વલસાડ, વાપી, સેલવાસનાં આહીર સમાજ દ્વારા ચૂંટણીમાં વિજેતા બનેલા તથા ભાજપ સંગઠનમાં નિમણૂક પામેલા આહીર સમાજના ઉમેદવારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સન્માન સમારોહના કાર્યક્રમમાં મંત્રી જવાહર ચાવડા, ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર, કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અજીતભાઈ આહીરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનેલા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાએ કોંગ્રેસની સરકારમાં આહિર સમાજની અવગણના જ કરાઈ હોવાનું જણાવાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હૂંબલ દ્વારા પ્રથમવાર આહીર સમાજને બબ્બે મિનિસ્ટર મળ્યા છે. એમ કહી રૂપાણી સરકારનો આભાર માન્યો હતો. ખુબ જ નાની ઉંમરે રાજકોટના મેયર બન્યા બાદ હાલ ગુજરાત પ્રદેશ ઓબીસી મોરચાના પ્રમુખ પદે નિમણૂક પામેલા ઉદયભાઇ કાનગડે સમાજ સન્માન કરે ત્યારે ખૂબ જ ગૌરવની લાગણી થાય છે, આપણાં સમાજ ઉપર બીજા સમાજને પણ ભરોસો છે. એ ભરોસો આપણે જાળવી રાખવો પડશે એમ કહ્યું હતું. વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારાએ હિન્દૂ સંસ્કૃતિ માટે બલિદાન આપીએ એ પાર્ટીના આપણે સ્વયંસેવકો છીએ. અને એના માટે આપણને ગૌરવ હોવું જોઈએ એમ કહ્યું હતું.
 આ કાર્યક્રમનું આયોજન કાળુભાઇ આહિર, ભાગડાવડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ગૌરવ આહીર, કિશોર આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુર એપીએમસીના ચેરમેન જીવાભાઇ આહીર, વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રકાશભાઈ આહીર, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ પંકજભાઈ આહીર, વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસીએશનના પ્રમુખ હર્ષદ આહીર, વલસાડ કેબલ ઓપરેટર એસોસિયેશનના પ્રમુખ દિપક આહીર, બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ આહીર, વલસાડ નગરપાલિકા સભ્યના પતિ પ્રિયંક આહીર, ધમડાચીના સરપંચ રણછોડભાઇ આહીર, પીઠાના માજી સરપંચ વિનોદભાઈ આહીર, ઘડોઈના સરપંચ પતિ નિલેશભાઈ આહીર, કામરેજના સરપંચ મનીષભાઈ આહીર ઉપરાંત સૌરાષ્ટ્ર આહીર સમાજ સુરત ના પ્રમુખ આર.એસ. હડિયા, સુરત શહેર સમાજ સમૂહલગ્ન સમિતિના જીતુભાઈ કાછડ, સુરતના અગ્રણી હરિભાઈ નકુમ, સેલવાસના ડાયાકાકા, વાપીના મનુભાઈ આહીર, સેલવાસના દેવશીભાઇ ભાટુ, વાપીના રવિભાઈ મિયાત્રા તથા ભાજપના સનમ પટેલ, જીતેશ પટેલ, સ્નેહીલ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરવા ઉપસ્થિત રહેલા શરદભાઈ વ્યાસે વડાપ્રધાન મોદીની સરખામણી હાથી સાથે કરતાં જણાવ્યું હતું કે દેશમાં હાથી ચાલે છે અને કૂતરા ભસે છે, કૂતરાઓને પ્રોબ્લેમ એ વાતનો છે કે તેઓ ભસે છે પરંતુ હાથી પાછું વળીને જોતો નથી. અમને પહેલાં સનાતન ધર્મની ચિંતા હતી પરંતુ હવે સંત સમાજને કોઈ ચિંતા નથી. જે દિલ્લીમાં બેઠો છે એ સનાતન ધર્મની રખેવાળી કરે છે એનો અમને વિશ્વાસ છે.

(7:46 pm IST)