Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

પુત્રવધૂના ત્રાસથી કંટાળીને સસરાએ આત્મહત્યા કરી

આત્મહત્યા પહેલા વોટ્સએપ પર મેસેજ કર્યો : અડાલજ કેનાલમાંથી થોડા દિવસ પહેલાં જ વૃદ્ધની લાશ મળી હતી, સાબરમતી પોલીસ સ્ટેશનમાં હવે ગુનો નોંધાયો

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદઃ અડાલજ કેનાલમાંથી થોડા દિવસ પહેલાં એક વૃદ્ધની લાશ મળી હતી. જેમાં હવે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે મૃતકે તેમના ફોન પરથી તેમના પરિવારજનોને મેસેજ કર્યો હતો કે પોતે આપઘાત કરવા જઈ રહ્યા છે. મેસેજમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ તેમની વહુ અને તેના ઘરના લોકોથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. જેથી સમગ્ર બાબતને લઈને પોલીસે મૃતકની પુત્રવધૂ, પુત્રવધૂની બહેન અને ભાઈ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાબરમતીમાં આવેલાં ન્યૂ દેવભૂમિ સોસાયટીમાં રહેતાં રોહનભાઈ ઓઝા ટેસ્ટિંગ એન્જીનિયર તરીકે નોકરી કરે છે. તેમના પિતા દેવેન્દ્રભાઇ નવા વાડજ ખાતે આવેલી એક શાળામાં લેબ ટીચર તરીકે નોકરી કરતાં હતાં. રોહનભાઈના લગ્ન ભૂમિકા નામની યુવતી સાથે થયાં હતાં.

             રોહન અને ભૂમિકાનું નક્કી કર્યું ત્યારથી બંને પરિવાર વચ્ચે ખટરાગ ચાલતો હતો. જોકે, થોડાં સમય બાદ જ્યારે સગાઈ તોડવાનું નક્કી થયું ત્યારે ભૂમિકાએ રોહનને સમજાવવા સગા-સંબંધીઓને ફોન કરીને લગ્ન થાય તેમ કરવા ભલામણ કરી હતી. ભૂમિકાએ અજાણ્યા નંબર પરથી રોહનને ફોન પણ કર્યો હતો અને કહ્યું હતું કે, આઠેક માસ સગાઈ દરમિયાન સાથે રહ્યા તેમ છતાં લગ્ન નહીં કરે તો તારા માતા-પિતાને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઇશ. તેથી રોહનને ચિંતા થઇ હતી કે તેના પિતાની સરકારી નોકરી જતી રહેશે. ગત તારીખ ૧૭ માર્ચના રોજ રોહનને ભૂમિકાએ તેના ઘરે બોલાવ્યો હતો. ત્યાં હાજર વકીલને સાથે રાખીને બાદમાં મેરેજ બ્યૂરો ખાતે જઇ ફૂલ-હારથી લગ્ન કર્યાં હતાં અને બાદમાં એક અલગ મકાનમાં રહેવા ગયા હતાં. રોહનના લગ્નની જાણ તેના પિતાને થતાં તેના પિતાએ અખબારમાં તેમનો પુત્ર કહ્યામા નથી અને મિલકતમાંથી બેદખલ કર્યો છે તેવી જાહેર નોટિસ આપી હતી.

(7:38 pm IST)