Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

બેટરી સંચાલિત ટૂ વ્હીલર - થ્રી વ્હીલરના ઉપયોગ માટે સહાય યોજના જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસે ગ્રીન-કલીન એનર્જીના વિનિયોગથી ગુજરાત કલાયમેટ ચેન્જના પડકારોને પાર પાડવા સંકલ્પબધ્ધ બન્યું : નગરો - શહેરોમાં વાહનોથી ફેલાતું વાયુ પ્રદૂષણ અટકાવવા ઇલેકટ્રીક વાહનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન અપાશે : મુખ્યમંત્રીઃ ઇલેકટ્રીક ટુ-વ્હીલર ખરીદવા વિદ્યાર્થીઓને રૂ. ૧૨ હજારની સહાય : ઇલેકટ્રીક રિક્ષા માટે રૂ. ૪૮૦૦૦ની સહાય : કલાયમેટ ચેન્જ વિભાગના ૧૦ વર્ચ્યુઅલ એમઓયુ મુખ્યમંત્રીશ્રીની ઇ ઉપસ્થિતિમાં સંપન્ન : કલાયમેટ ચેન્જ વિભાગની એક દશકની કામગીરી ભાવિ રોડ મેપના દસ્તાવેજ પુસ્તક - કોમ્પોડીયમનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું

રાજકોટ તા. ૧૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજયના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.

એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસની ઉજવણી રૂપે રાજયમાં પાંચ વિકાસ યોજનાઓની પંચશીલ ભેટ તરીકે આ પર્યાવરણપ્રિય ભેટ રાજયના નાગરિકોને આપી હતી.

સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજયમાં અમલમાં મુકવામાં આવી છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૧૧ વર્ષ પહેલાં આજના દિવસે તેમણે કલાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. આ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રેણીબદ્ઘ કાર્યક્રમો યોજાયા હતા.

વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા આ સમારોહને સંબોધન કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી કલીન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આજે જયારે સમગ્ર વિશ્વ સમક્ષ કલાયમેટ ચેન્જની અસરો પડકારરૂપ બની છે ત્યારે વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભવિષ્યમાં ઉભા થનારા પડકારોને લક્ષમાં રાખીને દેશમાં પહેલીવાર સમયસર કલાયમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સોલાર સિસ્ટમમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત બારેય માસ મહત્તમ સૂર્ય પ્રકાશ મેળવતું રાજય છે. સૂર્ય પ્રકાશથી વીજળી ઉત્પન કરી નાગરિકોને સસ્તી વીજળી આપવાનો આપણો ધ્યેય છે. સાથે જ પોતાના ઘરના રૂફટોપ પર વીજળી ઉત્પન્ન કરી વધારાની વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે. એ માટે સોલાર રૂફટોપ યોજના ગુજરાતની આગવી ઓળખ બની છે.

ગુજરાત રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાડવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની સબસિડી સહાયથી ૧ લાખ ૩૮ હજારથી વધુ ઘરોમાં કુલ ૫૧૦ મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. ચાલુ વર્ષે પણ રૂ. ૯૧૨ કરોડની જોગવાઇથી ૨ લાખ રહેણાંક મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવાની નેમ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત પૂનઃપ્રાપ્ય ઉર્જામાં પણ અગ્રેસર છે. રાજયમાં વિજળીની કુલ સ્થાપિત ક્ષમતા ૩૫,૫૦૦ મેગાવોટ છે. ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો ફાળો ૩૦ ટકા છે, જે નેશનલ એવરેજ ૨૩ ટકા કરતાં વધુ છે.

બિનપરંપરાગત ઉર્જાના અસરકારક અમલને કારણે વર્ષ દરમિયાન અંદાજે ૨ લાખ ટન કાર્બનડાયોકસાઇડ વાયુ વાતાવરણમાં ભળતો અટકે છે અને વીજ ઉત્પાદન માટે ૧ કરોડ ટન કોલસાની બચત થાય છે. વાતાવરણની શુદ્ઘતા પણ જળવાય છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે પ્રધાનમંત્રીશ્રીના ૭૦મી જન્મદિવસે ગ્રીન કલીન એનર્જી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગુજરાત માટે કલાયમેટ ચેન્જ વિભાગે તેની સ્થાપનાના પ્રથમ દસકમાં જે કામ કર્યું છે અને ભવિષ્ય માટે જે રોડમેપ કંડાર્યો છે તેના દસ્તાવેજ એવા પુસ્તક- 'બિલ્ડીંગ એ કલાયમેટ રેસીલીયન્સ ગુજરાતૅં એ ડીકેડ ઓફ કલાયમેટ એકશન એન્ડ એ રોડમેપ ફોર ધી ફયુચર'નું ઈ-લોકાર્પણ પણ કર્યું હતું.

કલાયમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાન્તિ લાવવા રાજય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે વર્ચ્યુઅલ એમ.ઓ.યુ. પણ કર્યા હતા. વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે. હૈદરની ઉપસ્થિતિમાં ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઈન્ફોર્મેટિકસ સાથે સ્પેશ ટેકનોલોજી અને જીઓ ઈન્ફોર્મેટિકસના ઉપયોગ દ્વારા કલાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી માટે એમ.ઓ.યુ. કરાયા હતા.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે કલાઈમેટ ચેન્જ રીસ્ક એસેસમેન્ટ ઓફ મિટિગેશન કલાઈમેટ ફાયનાન્સ અને કલાઈમેટ પોલિસીની બાબતો માટે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર સાથે કલાઈમેટ ચેન્જ અને પર્યાવરણ વિષયમાં ક્ષમતા નિર્માણ, સંશોધન અને વૈજ્ઞાનિક માહિતીની લોકઉપયોગીતા વધારવા બાબતે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સાથે સીએનજી જેવા સ્વચ્છ ઇંધણનો વાહન વ્યવહારમાં ઉપયોગ વધારવા બાબતે અને મુખ્ય નગર નિયોજક સાથે મકાનોમાં ઊર્જા બચત અંગેનો બિલ્ડિંગ કોડ બનાવવા બાબતે એમ.ઓ.યુ. કરાયા હતા. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા કલાઈમેટ ચેન્જ વિષયની જન જાગૃતિ વધારવા અંગે, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની સાથે સખી મંડળો દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન તથા પર્યાવરણ ક્ષેત્રમાં આજીવિકા મળે તેવા પ્રોજેકટો હાથ ધરવા બાબતે તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે ગોબરમાંથી બાયોગેસ મેળવવા તથા ખેતીમાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરી બિન પરંપરાગત ઊર્જા મેળવવાની તકનિકોમાં સંશોધન કરવા અંગે પ્ં્ય થયા હતા. ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન સાથે બાયો ટેકનોલોજીના વપરાશ દ્વારા કલાઈમેટ ચેન્જ શમન અને પુનઃપ્રાપ્ય બળતણના સંશોધન અંગે અને શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ સાથે કલાઈમેટ ચેન્જ સંશોધનોનો વ્યાપ ઉચ્ચ શિક્ષણમાં વધારવા માટે એમ. ઓ.યુ. કરાયા હતા.

ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના નિયામકશ્રી બીજલ શાહે આભાર વિધિ કરી હતી.

(11:50 am IST)