Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

યુગ દ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૩ મો પ્રાગટ્યોત્સવ દબદબાભેર ઉજવાયો

ભારત વર્ષની વિશ્વની મોટી દેણગી છે વિરક્ત સંત પરંપરા... આ સંત પરંપરા જનસમાજ પાસેથી લે છે તે કરતાં અનેક ગણું આપે છે. માનવ જીવનના ઘડવૈયા છે સંતો. ગરવા ગુજરાત ઉપર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાતઃસ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરનાર સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મૂઠી ઊંચેરા મહાન સંત હતા. તેઓશ્રી તેમની પેઢીના જ નહીં પણ આ યુગ માટેના યુગ દ્રષ્ટા હતા. એટલે તો સૌ કોઈને વિશ્વધર્મચૂડામણિ સ્વામીબાપાની દિવ્ય અલૌકિક મૂર્તિનું અપાર આકર્ષણ હતું. સ્વામીબાપાનાં દર્શનમાં અનેક સદ્ગુણોના દર્શન થાય છે. ધર્માનુસરણને વરેલા ભારતીયો માત્ર શાળામાં ન રહેતા સંસ્કૃતિથી વિદેશોમાં અર્થોપાર્જન માટે સ્થાયી થયા છે.

*ચીલે ચીલે ગાડી ચલે ચલે ચલે કપૂત;*

 *પણ એ ચીલે ના ચલે,  ઘોડા, સિંહ સપૂત...*

એ ન્યાયે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સાચા વારસદાર ધર્મમાર્તંડ સ્વામીબાપાએ, સમુદ્ર ઓળંગીને વિદેશયાત્રા ન કરાય એ સાંપ્રદાયિક પુરાણી રૂઢીને હિંમતપૂર્વક પડકારીને ૭૨ વર્ષ પહેલાં આફ્રિકા જેવા અનાર્ય ખંડને અને પાવનકારી પાદાર્પણે પુનિત બનાવ્યો.

તેમજ યુનાઈટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પણ સૌ પ્રથમ ૧૯૭૦ માં પધાર્યા.

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશી ગુરુ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી મુક્તજીવન સ્વામીબાપા  યુગ દ્રષ્ટા હતા. કેળવણીના ક્રાન્તદ્રષ્ટા તેમજ સમર્થ ધર્માધ્યક્ષ તરીકે જેમનો જોટો જગતમાં જડે તેમ નથી એવા શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પ્રાગટ્ય પુણ્ય સલિલા વેત્રવતી અને  શેઢી સરિતાના સંગમ પર વસેલા ખેડા નગરમાં મૂળજીભાઈ પટેલ અને ઈચ્છબાને ત્યાં સંવત ૧૯૬૩ ના ભદ્રંકારી ભાદરવા વદની સોમવતી અમાવસ્યા તારીખ ૭-૧૦-૧૯૦૭ ને સોમવારે બપોરે ૩ કલાક અને ૧૭ મિનિટે થયું હતું. 

આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યુગ દ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૩ મો પ્રાગટ્યોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મમહોલમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી   પુરુષોત્તપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ઉત્તરાધિકારી શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાને સ્ટેજ ઉપર બિરાજમાન કરી અને શાહી સ્વાગતના તે તે પૂજનીય સંતોએ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને શાહી પૂજન કરી અને પોતાની ભક્તિ અદા કરી હતી. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને આજના પાવન દિવસે સુવર્ણ મુગટ, પુષ્પની ચાદર, સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવી અને કૃતકૃત્યતા અનુભવી હતી. શ્રીજીબાપા સ્વામીબાપાનું પૂજન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કર્યું હતું અને ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાને તુલામાં બિરાજમાન કરી પુષ્પ, સોપારી, ગોળ, શ્રીફળ વગેરે દ્રવ્યોથી તુલા કરવામાં આવી હતી. આ તુલાનાં હજારો હરિભક્તોએ દર્શન ઓનલાઇન કર્યા હતા અને ધન્ય બન્યા હતા. આજે શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૩ મો પ્રાગટ્ય ઉત્સવ વિશ્વના તે તે દેશોમાં વસતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો - હરિભક્તોએ સરકારશ્રીના નિયમો અનુસાર સોશ્યલ ડિસ્ટન્સના પાલન સહ ઉજવણી કરી હતી.

 

(4:00 pm IST)