Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

નવસારી પાસે મધ્યપ્રદેશના મજૂરોની બસને અકસ્માત : જાનહાની ટળી

નવસારી,તા. ૧૮: નવા વર્ષની શરૂઆતમા જ ગુજરાતમાં અકસ્માતની વણઝાર સર્જાઈ છે. આજે સવારે ગુજરાતમાં બે ગંભીર અકસ્માત સર્જાયા છે. જેમાં વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ૧૧ મુસાફરોના મોત નિપજયા છે. તો બીજી તરફ, સુરેન્દ્રનગરના લખતર રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતના ૪ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા છે. તો ત્રીજો અકસ્માત નવસારીના હાઈવે પર સર્જાયો છે. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લકઝરી બસ અથડાઈ હતી. મધ્યપ્રદેશથી નીકળેલી લકઝરી બસમાં મજૂરો સવાર હતા, જેઓ મુંબઈના પાલદ્યર જવા નીકળ્યા હતા. જોકે, બસ અકસ્માતમાં બસને નુકસાન પહોંચ્યું હતુ અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બસનો કલીનર, એક બાળકી અને અન્ય મળીને કુલ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વહેલી સવારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો.

તો ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર નવા વર્ષની રાત્રિએ જ મોટી હોનારત થતાં અટકી હતી. સુરતથી સોમનાથ જઇ રહેલી ખાનગી લકઝરી બસના ડ્રાયવરે આરટીઓ ઓફિસ પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ ડીવાઇડર પર ચઢી ગઇ હતી. બેકાબૂ બનેલી બસ બે લેનની વચ્ચે આવેલાં ડિવાઇડર પર ચઢી ગઇ હતી. સદનસીબે બસ પલટી ન મારી જતાં મોટી હોનારત થતાં અટકી હતી. બસમાં સવાર કેટલાક મુસાફરોને ઇજા થતાં તેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

(12:17 pm IST)