Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ક્ષત્રિય સમાજનું આંદોલન જયચંદોના કારણે નબળુ પડ્યું:પદ્મીનીબાએ આંદોલન ભાજપ કોંગ્રેસમાં ફેરવાયુ હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ

પદ્મનીબા વાળાએ ફરી સંકલન સમિતી પર પ્રશ્ન ઉઠાવતા નિશાન સાધ્યું : આંદોલન કોઇ ફિલ્મ છે કે તેની પાર્ટ વન અને પાર્ટ ટુ હોય? પાર્ટ ટુ લાવવાનો હતો તો પાર્ટ વનમાં શું કર્યું એ જાહેર કરો

અમદાવાદ :ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ફાટી નીકળેલો ક્ષત્રિયોનો રોષ યથાવત્ છે. સમાધાન માટે કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ બન્યા છે. ત્યારે અમદાવાદના ગોતા વિસ્તારમાં આજે સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે અને ક્ષત્રિય સમાજ આગામી સમયની રણનીતિ ઘડશે. આ વચ્ચે પદ્મનીબા વાળાએ ફરી સંકલન સમિતી પર પ્રશ્ન ઉઠાવતા નિશાન સાધ્યું છે.

   અમદાવાદમાં યોજાઈ રહેલી સંકલન સમિતિની બેઠકમાં આજે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા આમંત્રણ વિના પહોચ્ચા હતા. જ્યાં તેમણે આંદોલન ભાજપ કોંગ્રેસમાં ફેરવાયુ હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે જણાવ્યું કે ક્ષત્રિય સમાજનું આંદોલન જયચંદોના કારણે નબળુ પડ્યું છે. આંદોલન કોઇ ફિલ્મ છે કે તેની પાર્ટ વન અને પાર્ટ ટુ હોય? પાર્ટ ટુ લાવવાનો હતો તો પાર્ટ વનમાં શું કર્યું એ જાહેર કરો. રૂપાલાને 16 તારીખે ફોર્મ જ નહોતું ભરવા દેવાનું. રાજકોટમાં બેઠક પર 300 ફોર્મ ભરાવવાની જાહેરાત તૃપ્તિ બાએ કરી હતી, તો આજે તેમાંથી કેટલા ફોર્મ ભર્યાં એ મને કહો?

  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સંકલન સમિતી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સાથે સાથે તેમણે તેમ પણ કહ્યું કે સામાજિક લડાઈમાં રાજકારણ વચ્ચે ન લાવો. રૂપાલા સામેની આ લડાઈમાં હું સંકલન સમિતિની સાથે છું, પરંતુ ભવિષ્યમાં સંકલન સમિતિની સાથે રહીશ નહીં. રૂપાલા સામેના આંદોલન પાર્ટ-2માં સાથે રહીશ, ક્ષત્રિય સમાજ મહિલાઓ માટે ઘરની બહાર નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. આ ક્ષત્રિય સમાજનો સામાજિક પ્રશ્ન છે, પહેલા કહેતા હતા મત નથી આપવો હવે કોંગ્રેસને સમર્થનની વાત કરે છે. આ સિવાય 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ વાત ક્યાંય નથી જે લોકો સમાજ માટે લડે છે તે મહિલાઓને ઇન્ગોર કરવામાં આવે છે. અમે અન્યાયની લડાઇ માટે નિકળ્યા હતા, પરંતુ સમાજ જ અમારી સાથે અન્યાય કરે તો શું કરવું ? આ રીતે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.  

રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા માટે આજે એક સારા સમાચાર મળ્યા છે. રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહિ ભરે. આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 200+ ફોર્મ ઉપડ્યા હતા. 14 તારીખ સુધીમાં 50% ડોક્યુમેનટેશન પણ પૂર્ણ થઈ ગયું હતું. ફંડ પણ એકત્રિત થઈ ગયું હતું, પરંતુ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની જાહેરાત કરતા અમે અમારા જવતલિયા ભાઈ સાથે છીએ.

(6:25 pm IST)