Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અમદાવાદ બાપુનગરના AIMIMના ઉમેદવાર શાહનવાઝ કોંગ્રેસમાં જોડાયા :ફોર્મ પરત ખેંચી કોંગ્રેસને ટેકો આપ્યા બાદ 'પંજો' પકડ્યો

કોંગ્રેસમાં જોડાયેલા શાહનવાઝ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે ભાજપમાં જોડાવા માટે કેટલાક કાર્યકર્તાઓએ તેને નાણાની લાલચ પણ આપી હતી

અમદાવાદ બાપુનગર બેઠક પર AIMIMના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. કોંગ્રેસમાં જોડાયા પહેલા શાહનવાઝ ખાન પઠાણે કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટેકો આપવા ફોર્મ પાછુ ખેંચ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી શાહનવાઝ ખાન પઠાણનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું. કોંગ્રેસમાં જોડાયેલા શાહનવાઝ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે ભાજપમાં જોડાવા માટે કેટલાક કાર્યકર્તાઓએ તેને નાણાની લાલચ પણ આપી હતી.

આ પ્રસંગે જગદીશ ઠાકોરે કહ્યું કે છેલ્લા બે ત્રણ દિવસથી વિવિધ પાર્ટીના કાર્યકર્તાઓ ભારત જોડો, નફરત છોડોના નારા સાથે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતની એકતા માટે કોની જરૂર છે તે લોકો ઓળખી ગયા છે.

  આ ઘટના બાદ બાપુનગર સીટ પરથી  AIMIMના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા રાજનીતિ ગરમાઈ છે. એક તરફ ઓવૈસી કોંગ્રેસ પર સતત પ્રહાર કરતા હોય છે, ત્યારે તેમની પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને ટેકો જાહેર કર્યો છે. શાહનવાઝ પઠાણની બાપુનગરમાં બિલાલ કોમ્પલેક્સ પાસે સસ્તા અનાજની દુકાન છે અને તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાન પઠાણનો ભત્રીજો છે. ઉપરાંત મહેઝબિન પઠાણના પણ સગામાં છે. જેમા હવે તે પણ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. જેનાથી AIMIMને ઝટકો મળ્યો છે.

(1:00 am IST)