Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ ફિલ્‍મ ‘પઠાણ' રિલીઝ થવા દેવા તૈયાર પરંતુ મૂકી એક શરત

જો ફિલ્‍મમાંથી આપત્તિજનક સીન દૂર ન કરાયા તો અમારો વિરોધ યથાવત રહેશે : VHP : જો સંતો ‘હા' પાડે તો જ તેઓ વાંધો નહીં દર્શાવે : રિલીઝ પહેલા સ્‍ક્રીનિંગ : યોજવાની માગ કરી : જેમાં તેઓ આપત્તિજનક સીન દૂર કરાયા છે કે નહીં તે જોશે

અમદાવાદ તા. ૨૦ : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્‍મ ‘પઠાણ' રિલીઝ થાય તે પહેલા જ વિવાદના વંટોળમાં ફસાઈ છે. લેટેસ્‍ટ ખબર પ્રમાણે, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના પ્રતિનિધિઓ માત્ર એક જ શરત પર આ વાંધો ન દર્શાવવા માટે તૈયાર થયા છે. બંને સંગઠનના પ્રવક્‍તાએ કહ્યું હતું કે, તેઓ ફિલ્‍મને રિલીઝ કરવાની મંજૂરી તો જ આપશે જો સંતો અને VHP તેમજ બજરંગ દળના પદાધિકારીઓ ‘હા' પાડે. ‘પઠાણ'નું સોન્‍ગ ‘બેશરમ રંગ' ડિસેમ્‍બરમાં લોન્‍ચ થયું ત્‍યારથી તેનો વિરોધ થઈ રહ્યો છે. આ સોન્‍ગમાં દીપિકાએ પહેરેલી ‘ભગવા બિકિની'થી હિંદુ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોવાનો આરોપ છે. ફિલ્‍મ ૨૫મી જાન્‍યુઆરીએ થિયેટરમાં આવવાની છે. બે દિવસ પહેલા જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મલ્‍ટીપ્‍લેક્‍સના માલિકોને પોલીસ સુરક્ષા આપવાની ખાતરી આપી હતી. તો સંગઠનોએ કહ્યું હતું કે, ‘જો તેમાં કંઈ વાંધાજનક ન મળી આવ્‍યું તો જ રિલીઝ થવા દઈશું'.

વીએચપી ગુજરાતના જનરલ સેક્રેટરી અશોક રાવલે જણાવ્‍યું હતું કે, ‘કેટલાક સંતો, વીએચપી ઓફિસના પદાધિકારીઓ અને બજરંગ દળના આગેવાનો માટે ફિલ્‍મ રિલીઝ થાય તે પહેલા સ્‍ક્રીનિંગ રાખવામાં આવી શકે છે. આપત્તિજનક સીન દૂર કરવામાં આવ્‍યા હોવા સામે જો અમે સંતુષ્ટ થયા તો, ફિલ્‍મ રિલીઝ થઈ શકશે અને અમે વિરોધ નહીં કરીએ. પણ જો આપત્તિજનક સીન દૂર કરવામાં નહીં આવ્‍યા હોય તો અમે ફિલ્‍મ રિલીઝ નહીં થવા દઈએ'.

આ મહિનાની શરૂઆતમાં, બજરંગ દળના સભ્‍યોએ વસ્ત્રાપુરમાં આવેલા એક થિયેટરમાં ફિલ્‍મના પોસ્‍ટરો ફાડ્‍યા હતા અને તોડફોડ કરી હતી. જરાત મલ્‍ટિપ્‍લેક્‍સ ઓનર્સ એસોસિએશનના (GMOA) સભ્‍યોએ જણાવ્‍યું હતું કે સિનેમા હોલના માલિકોને રિલીઝના દિવસ સુધી સ્‍ક્રીનિંગ માટે કોપી મળતી નથી. ‘અમે પાંચથી સાત લોકો માટે ફિલ્‍મ રિલીઝ થાય તે દિવસે સ્‍ક્રીનિંગ કરવા માટે તૈયાર છે. જો કે, અમને ખાતરી જોઈએ છીએ કે થિયેટરના પરિસરમાં કોઈ તોડફોડ કરવામાં આવશે નહીં', તેમ જીએમઓએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું.

ગુજરાત પોલીસ કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે તકેદારી રાખી રહી છે. રાજયના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્‍યું હતું કે, ‘તમામ શહેરના પોલીસ કમિશનરો અને એસપીને કાયદો અને વ્‍યવસ્‍થાનો ભંગ ન થાય તે માટે મલ્‍ટિપ્‍લેક્‍સ તેમજ થિયેટર બહાર ચાંપતો બંદોબસ્‍ત રાખવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. જો કોઈ તોફાની તત્‍વોએ સમસ્‍યા ઉભી કરવાનો પ્રયાસ કર્યો તો પોલીસ તેમની સામે કડક પગલા લેવાશે. અમે જરૂર પડી તો સલામતી અને સુરક્ષા માટે ધરપકડ પણ કરીશું'

(12:05 pm IST)