Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજયભરમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા આગામી તા.ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન યોજાશે: શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી કરાવશે: મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ જોડાશે: રાજ્યમાં વર્ષ ૧૯૯૦-૯૧માં જે ડ્રોપ આઉટ રેઇટ ૬૪.૪૮ ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને ર૦ર૦-ર૧માં ૩.૭ ટકા જેટલો નીચો આવી ગયો: વર્ષ ર૦૦૪-૦પમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૯પ.૬પ ટકા હતો તે વધીને ર૦ર૦-ર૧માં ૯૯.૦ર ટકા જેટલો ઊંચો ગયો: રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન: ૮૪ IAS,  ૨૪ IPS અને ૧૫ IFS અધિકારીઓ સહિત વર્ગ-૧ ના ૩પ૬ અધિકારીઓ સેવાયજ્ઞમાં જોડાશે
ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલા આગામી તા. ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન યોજાશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને  મંત્રી મંડળના સભ્યશ્રીઓ, પદાધિકારી તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બ્રિફીંગ બેઠક યોજાઇ હતી.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં થવાનું છે. દર વર્ષે આ અભિયાનમાં રાજ્ય સરકારના IAS, IPS, IFS તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને વર્ગ-૧ના અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીશ્રીઓ રાજ્યભરના ગામે-ગામ જઇને શાળામાં પ્રવેશપાત્ર ભુલકાંઓનો શાળા પ્રવેશ ગામમાં ઉત્સવજનક વાતાવરણમાં કરાવે છે.
શિક્ષણ મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, આ વર્ષે ૮૪ IAS,  ૨૪ IPS અને ૧૫ IFS અધિકારીઓ સહિત વર્ગ-૧ ના ૩પ૬ અધિકારીઓ શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાવાના છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાની મેમદપૂરા પ્રાથમિક શાળાથી તા.ર૩ જૂન ગુરૂવારે કરાવશે તેમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી શાળા પ્રવેશોત્સવના આ સેવાયજ્ઞના બીજા દિવસે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર નિઝરના રૂમકી તળાવ ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવશે તેમજ ત્રીજા દિવસે અમદાવાદના મેમનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.
શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદકાળ દરમ્યાન રાજ્યની પ્રાથમિક શિક્ષણની સ્થિતી, ગુણવત્તા અને રેશિયો સુધારવા તથા દિકરીઓના શિક્ષણને વેગ આપવા ર૦૦૩થી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથયાત્રાનો ઉપક્રમ શરૂ કરાવ્યો છે. આના પરિણામે રાજ્યમાં ૧૯૯૦-૯૧માં જે ડ્રોપ આઉટ રેઇટ ૬૪.૪૮ ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને ર૦ર૦-ર૧માં ૩.૭ ટકા જેટલો નીચો આવી ગયો છે. એટલું જ નહિ, ર૦૦૪-૦પમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૯પ.૬પ ટકા હતો તે વધીને ર૦ર૦-ર૧માં ૯૯.૦ર ટકા જેટલો ઊંચો ગયો છે.
મંત્રીશ્રીએ આ વર્ષના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની નવી બાબતોની માહિતી આપતા કહ્યુ કે, કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ આ પ્રવેશોત્સવમાં નવી બાબત તરીકે ઉમેરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ ધ્વારા હાથ ધરવામાં આવેલા નવા પ્રકલ્પો જેવા કે, લર્નીગ લોસ માટે શિક્ષકોએ આપેલ સમય દાન, વિધાર્થીઓ અને શિક્ષકોની ૧૦૦ ટકા નિયમિત હાજરી, શાળાઓની માળખાકીય સુવિધા, જી.શાળા એપનો વિધાર્થી ધ્વારા ઉપયોગ, એકમ કસોટી અને સત્રાંત કસોટીના પરિણામો, કોરોના કાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન અને ઓફલાઇન કામગીરી જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, દરેક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં એસ.એમ.સી.(સ્કુલ મોનિટરીંગ કમિટી)ના સભ્યોની હાજરીમાં જે-તે શાળાના મુખ્ય શિક્ષક ધ્વારા શાળાનો અહેવાલ રજુ કરવામાં આવશે. તે ઉપરાંત અધિકારીશ્રી અને પદાધિકારીશ્રી ધ્વારા શાળાના એસ.એમ.સી સભ્યો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓને પણ જોડવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ શાળા પ્રવેશોત્સવમાં રાજય કક્ષાથી જનાર પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીને રાજયકક્ષાએથી તાલુકાની ફાળવણી કરવામાં આવી છે. તેઓ પ્રત્યેક દિવસે તે જ તાલુકાની કોઇ એક કલસ્ટરની ૩ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરશે અને ત્રીજી શાળામાં તે કલસ્ટરની શૈક્ષણિક બાબતોની સમીક્ષા કરશે. પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને જિલ્લા કક્ષાએથી શાળાઓની ફાળવણી કરવામાં આવશે. જેમાં ગુણવત્તાયુક્ત સમિક્ષા થઇ શકે તે હેતુથી વધુ વિધાર્થીઓની સંખ્યાવાળી શાળામાં ફાળવવામાં આવશે. એટલુ જ નહિ, તા.૨૪મી જૂને સમગ્ર રાજયમાં સાંજે-૪-૦૦ થી પ-૦૦ દરમ્યાન તાલુકા કક્ષાની રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તે તાલુકામાં રાજયકક્ષાથી ગયેલા પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ રિવ્યુ બેઠકમાં હાજર રહેશે.

(6:02 pm IST)