News of Tuesday, 20th July 2021
અમદાવાદ :પેગાસસ સોફ્ટવેર મારફતે દેશના નાગરિકોના ફોન હેંક કરીને જાસૂસી મામલે લોકસભામાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલાએ વિવિધ રાજકીય પક્ષો દ્વારા સામસામે આક્ષેપ- પ્રતિઆક્ષેપ કરીને રાજયોના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા નિવેદનને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ હાસ્યાસ્પદ અને અગ્યાનતાને પ્રદર્શિત કરતું ગણાવ્યું છે.
તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોંગ્રેસનો ફોબિયા થયો છે એટલે તેમની સોય દરેક વખતે કોંગ્રેસ પર આવીને અટકી જાય છે. મુખ્યમંત્રીને ખબર હોવી જોઇએ કે આ ઇન્વેસ્ટીગેશન જર્નાલિઝમ દુનિયાના સ્વંત્રત મીડીયા ગ્રુપો દ્રારા કરવામાં આવ્યું છે. પત્રકાર મિત્રોની મહિનાઓની મહેનતના ફળસ્વરૂપે ભારતના લોકોની જાસૂસીનું સત્ય ઉજાગર થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે જાસૂસી દેશની સુરક્ષા માટે કરવાની હોય છે. પરંતુ દેશના ટોચના વિરોધપક્ષના નેતાઓ તથા પોતાના જ પક્ષના નેતાઓની જાસૂસી કરવી, સુપ્રિમ કોર્ટના જજ અને તેમના સ્ટાફની જાસૂસી કરવા એમના ફોન ટેપ કરવા, અધિકારીઓ અને પત્રકારોના ફોન ટેપ કરવા, આની અંદર દેશની સુરક્ષા કેવી રીતે સંકળાયેલ છે ?
પૂર્વ પ્રદેશ પ્રમુખએ વધુમાં જણાવ્યું કે, જો કોઇ વ્યક્તિ એ બાબતનો વિરોધ કરે કે તમે પાકિસ્તાન કે ચીનની જાસૂસી કેમ કરો છો ? તો તે દેશવિરોધી છે તે સમજી શકાય. પરંતુ તમે પોતાના જ દેશના લોકોને શંકાસ્પદ દ્દષ્ટિથી જૂઓ અને તેમના અંગત જીવન પર હુમલો કરો તો ય પ્રશ્નના કરાય,ભાજપના નેતાઓની દ્દષ્ટિએ સરકારના ખોટા કામનો વિરોધ કરવો દેશદ્રોહ ભલે હોય પરંતુ વિપક્ષ તરીકે જનતાના બંધારણીય અધિકારો છીનવાતા હોય ત્યારે વિરોધ કરવો અમારી ફરજ છે. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે પોતાના જ દેશના નાગરિકોની જાસૂસી બંધારણ વિરુધ્ધનું કુત્ય છે. એટલું જ નહીં દેશના નાગરિકો અને દેશ વિરુધ્ધનું કુત્ય છે. જેમણે પણ આવું કુત્ય કર્યું હોય તેમને જેલમાં નાંખવા જોઇએ.અને જેમણે પણ આ કરાવ્યું હોય તે દેશના વડાપ્રધાન હોય કે ગુહપ્રધાન તેમણે જવાબદારી સ્વિકારીને રાજીનામું આપવું જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, હું મુખ્યમંત્રીને યાદ અપાવવા માગું છુ કે, આવી જ પ્રવુતિ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ નિકસને વોટરગેટ કોંભાડ વખતે વિરોધ પક્ષના નેતાઓની બેઠકની જાસૂસી કરાવી હતી. પરિણામ સ્વરૂપ તેમને રાષ્ટ્રપતિ પદ છોડવું પડયું હતું. આપણા દેસમાં પણ ભાજપનો ઇતિહાસ આવી જાસૂસીથી ખરડાયેલો રહ્યો છે. ગુજરાતની અંદર પણ તેમણે હરેન પંડયા સહિતના પોતાના જ પક્ષના નેતાઓની જાસૂસી કરાવી હતી. અને વિપક્ષના નેતાઓની પણ જાસૂસી કરાવી હતી. તેમણે એક મહિલાની જાસૂસી માટે રાજયની તમામ એજન્સીઓને કામે લગાડી હતી. જેના પુરાવા બધાની સામે પણ આવ્યા હતા. એટલે મુખ્યમંત્રીને વિનંતી છે કે, તેઓ કેન્દ્ર સરકાર પાસે પેગાસસ સોફ્ટવેરથી દેશના નાગરિકો અને ટોચના નેતાઓની જાસૂસી કરાઇ છે તેની તટસ્થ તપાસ કરવા માંગ કરે. તેનાથી સત્ય સામે આવી જશે.