Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

પાટણમાં નીતિનભાઇ પટેલે ભાજપની સભામાં લવ જેહાદના ષડયંત્ર સાથે સંકળાયેલા તત્‍વોને લલકાર્યા

દરેક વ્‍યકિતને કોઇને કોઇ નડતુ જ હોયઃ નીતિનભાઇ પટેલ

મહેસાણાઃ મહેસાણા અને પાટણમાં ભાજપની ગૌરવયાત્રા દરમિયાન નીતિનભાઇ પટેલે લવ જેહાદ મુદ્દે ચોંકાવનારૂ નિવેદન આપ્‍યુ હતુ. તેમણે પોતાના અનુભવો જણાવતા નિવેદન કર્યુ કે, દરેક વ્‍યકિતને કોઇને કોઇ નડતુ જ હોય છે.

વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી એક વખત પૂર્વ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ એક્શનમાં આવી ગયા છે. પાટણ ખાતે ગૌરવયાત્રાની જાહેર સભામાં નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે ચોંકાવનારું નિવેદન આપીને ખળભળાટ મચ્યો હતો. હવે આજે મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે.

મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા એવી નથી કે સારા વિકાસના કામમાં નડતર ન હોય. દરેક વ્યક્તિને કોઈને કોઈ નડતું હોય છે. હું 1975માં પહેલી વખત જ્યારે નગરપાલિકામાં સભ્ય બન્યો હતો, ત્યારથી કોઈને કોઈ નડતર આવતી જ રહી છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ અડચણનો સામનો કરવો જ પડે છે. નકારાત્મક વ્યક્તિઓને બાજુ પર મૂકીને પ્રજાએ મને સ્વીકાર્યો છે.

મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નામ લીધા વિના પોતાનાં વિરોધીઓ પર નિશાન સાધ્યું. તેમણે સ્વીકાર્યું કે નગરપાલિકાથી લઈને વિધાનસભા સુધીની ચૂંટણીઓમાં તેમને કોઈને કોઈ નડ્યું જ છે. નીતિન પટેલે પોતાનાં રાજકીય નડતરો વિશે દેખીતી રીતે કોઈ સ્પષ્ટતા ન કરી, તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં, તે પણ હાલ નક્કી નથી. જો કે ચૂંટણી અગાઉ તેમણે પ્રચારનો માહોલ જમાવી દીધો. પાટણમાં ભાજપના કાર્યક્રમમાં તેમણે સ્ટેજ પરથી લવ જેહાદના ષડયંત્ર સાથે સંકળાયેલા તત્વોને પોતાના ચિરપરિચિત અંદાજમાં લલકાર્યા.

પાટણમાં નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે આપ્યું હતું ચોંકાવનારું નિવેદન

ઉલ્લેખનીય છે કે, મંગળવારે પાટણ ખાતે ગૌરવયાત્રની જાહેર સભામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે ચોંકાવનારું નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. નીતિન પટેલે જણાવ્યું હતું કે, બેન-દીકરીઓની છેડતી કરે પછી સરકાર કડક થાય તો પછી કહે તમે કોમને હેરાન કરો છો. તો હું એમ કહું છું કે તમે જાત જાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પડતા કે કોઈએ હિન્દૂ છોકરી સાથે લગ્ન કરવા નહિ, ત્યારે તો મારા બેટા આપણી છોકરીઓને લઇ જઈ ખાનગીમાં નિકાહ પઢાઈ લે છે. તો એ વખતે એવો ફતવો બહાર પાડો.

નીતિન પટેલે ઉમેર્યું હતું કે, મોટા મોટા મૌલાનાઓ, મોટા મોટા મુલ્લાઓ ફતવો બહાર પાડે છે કે બહાર કે કોઈએ હિન્દૂની દીકરી સાથે લગ્ન કરવા નહિ. આ ફતવો બહાર પાડશો તો લવ જેહાદ બંધ થઇ જશે. સરકારની જમીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી, દેશદ્રોહી પ્રવૃત્તિ કરી, બેટ દ્વારકા દરિયા પછી પાકિસ્તાનનો દરિયો આવે બોર્ડર પર જ્યાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ભાજપ સરકાર ચલાવી નહિ લે. એ કોઈ પણ પ્રકારનું દબાણ હોય તે ચલાવી લેવામાં નહિ આવે તેમ જણાવ્યું હતું.

(5:01 pm IST)