Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે સમગ્ર રાજ્ય માટે ₹2,646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

સાયન્સ સિટી ખાતેથી 17 હજાર વિકાસકાર્યો રાજ્યની જનતાને સમર્પિત કરવામાં આવશે: 20 વર્ષના ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન

ગાંધીનગર :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ આવતીકાલે રાજ્યના નાગરિકોને એક મોટી ભેટ તરીકે 17 હજાર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર ₹ 2,646 કરોડનો ખર્ચો કરશે. આ વિશેષ કાર્યક્રમ અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે. આ ક્રમમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ કાલે ફરી એક વખત વિકાસકાર્યો લઇને લોકો સમક્ષ પ્રસ્તૂત થશે.
આ વિકાસકાર્યો પૈકી લગભગ 13 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે લગભગ 4 હજારથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને 70થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ જ ક્રમમાં અમુક અન્ય જિલ્લા જેમ કે ભરૂચ, ડાંગ, મહિસાગર અને આણંદની વાત કરીએ તો આ જિલ્લાઓમાં અનુક્રમે 1600થી વધુ, 600થી વધુ, 500થી વધુ અને 550થી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને એ જ ક્રમમાં 180,160થી વધુ, લગભગ 400 અને 100થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ અંતર્ગત આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેમાં લોકસભાના સાસંદ ડૉ. કિરીટ સોલંકી, લોકસભા સાંસદ હસમુખ પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(10:11 pm IST)