Gujarati News

Gujarati News

News of Thursday, 20th October 2022

ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટહુકમ-2022ને રાજ્યપાલની મંજૂરી મળતાં રાજ્યમાં વટહૂકમનો અમલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય

રાજ્યના જરૂરીયાતમંદ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોની બિનઅધિકૃત મિલ્કતોને કાયદેસર કરવા રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય : પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી

અમદાવાદ :રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ-શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકા વિસ્તારમાં આવેલા બિનઅધિકૃત વિકાસને નિયમિત કરી શકાશે રેરા-એક્ટ-2016 અન્વયે નોટિસ અપાયેલા બાંધકામોનો સમાવશે નહીં માર્જિન-બિલ્ટઅપ-મકાનની ઊંચાઈ-ઉપયોગમાં ફેરફાર- ક્વર્ડ પ્રોજેક્ટશન-પાર્કિંગ-કોમનપ્લોટ વગેરે ફી લઇને નિયમાનુસાર નિયમબદ્ધ થઈ શકતો તારીખ 1 ઓકટોબર-2022 પહેલાં થયેલાં બિનઅધિકૃત બાંધકામ જ નિયમિત કરી શકાશે.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ ધ્વારા ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેનો વટહુકમ-2022નો રાજ્યમાં અમલ કરવાનો મહત્વપૂર્ણ લોકહિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યપાલ દ્વારા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

 તેમણે કહ્યું કે, ગુજરાત જેવા વિકાસના રોલમોડેલ રાજ્યમાં ઉદ્યોગો, વેપાર-ધંધાની વ્યાપક્તાને કારણે મોટી સંખ્યામાં લોકો રોજગારી-વ્યવસાય માટે શહેરોમાં આવીને વસવાટ કરતા થયા છે. આના પરિણામે વાણિજ્યિક અને અન્ય હેતુની મિલકતોની માગ દિન-પ્રતિદિન વધતી જાય છે. રાજ્યના જરૂરીયાતમંદ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે તેમની બિનઅધિકૃત મિલ્કતોને કાયદેસર કરવાનો આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક રૂમ બે રૂમ રસોડાના નાન મકાનમાં પરિવાર સાથે રહેતા મધ્યમવર્ગીય નાગરિકો તેમના બિનઅધિકૃત બાંધકામ અંગે સતત ચિંતા કરતા હોય છે તે બાબતે રાજ્ય સરકારે સંવેદના સાથે આ નિર્ણય લીધો છે. વેગવંતા શહેરીકરણને કારણે શહેરો અને નગરોની હદ અને વિસ્તારમાં મોટા પ્રમાણમાં વધારો થવાથી, શહેરોમાં પરવાનગી વગર મકાનો બનતા જાય છે. અથવા વિકાસ નિયંત્રણ નિયમોની વિરૂધ્ધ મકાનો બને છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

 પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તામંડળો, નગરપાલિકા વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં મકાનો/બાંધકામો બી.યુ. પરવાનગી વગરના જણાય છે. બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને લેતા, બી.યુ. પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા/નીતિ ઘડવી આવશ્યક હતી. તેમણે ઉમેર્યું કે, સંબંધિત સત્તામંડળ દ્વારા બિનઅધિકૃત બાંધકામોને દૂર કરવા, ઉતારી પાડવા અથવા અન્ય ફેરફાર કરવા ગુજરાત પ્રોવિન્સીઅલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ, ૧૯૪૯ અથવા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ, ૧૯૭૬ મુજબ નોટીસો આપવામાં આવેલ છે. પરંતુ, આ નોટીસોના અનુસંધાને સંબંધિતો દ્વારા જરૂરી પગલા લેવાનુ કે પૂર્તતા કરવાનું સંપૂર્ણત શક્ય બનેલ નથી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, રાજ્ય સરકારે અગાઉ સને ૨૦૦૧ અને ૨૦૧૧માં અનઅધિકૃત બાંધકામને નિયમીત કરવા માટેના કાયદા અમલમાં લાવવામાં આવેલ, જેના આધારે કેટલાક બાંધકામો નિયમિત થયેલ છે. તેમ છતાં, ઘણા બિનઅધિકૃત બાંધકામો નિયમિત થઇ શકેલ નથી તેમજ વપરાશની પરવાનગી મેળવી શકેલ નથી, તે પણ ધ્યાનમાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું. આ તમામ પરિસ્થિતિ ધ્યાને લઇ તથા જૂના કાયદાની જોગવાઇઓ, નામ. સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશો તથા સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઈ ‘Gujarat Regularisation of Unauthorised Development Ordinance, 2022' નો વટહુકમને  રાજ્યપાલની મંજૂરી મળેલી છે. મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગરનાં બાંધકામોને દૂર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના છે તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે છે, સમાજની આર્થિક અને સામાજીક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના છે, જે ઇચ્છનિય બાબત નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે આ સમગ્ર બાબતે સંપૂર્ણ માનવીય અભિગમ અપનાવીને રાજ્યના લાખો પરિવારોને આવાસ-સુરક્ષા આપવા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ-2022નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે, એમ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

 આ વટહુકમની મહત્વની જોગવાઇઓ અંગેની વિગતો આપતા પ્રવક્ત મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓ વિસ્તાર માં આવેલ અનઅધિકૃત વિકાસને નિયમિત કરી શકાશે. * Real Estate Regulatory Authority (RERA) Act 2016 હેઠળ જે બાંધકામોને નોટીસ આપેલ હોય તેનો સમાવેશ થશે નહીં. માર્જિન, બીલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ (ફકત ૫૦% માટે ફી લઈ), કોમન પ્લોટ (૫૦ % કવરેજની મર્યાદાને આધીન અને માત્ર મળવા પાત્ર ઉપયોગ), સેનિટરી સુવિધા ફી લઈ નિયમબધ્ધ થઇ શકશે. * જે કિસ્સામાં મળવાપાત્ર એફ.એસ.આઇ. ૧.૦ થી ઓછી હોય તેમાં, રહેણાંક ઉપયોગ સિવાયના (દા.ત. વાણીજય, શૈક્ષણીક, આરોગ્ય, ઔદ્યોગીક વિગેરે) બાંઘકામોમાં સીજીડીસીઆર મુજબ મહત્તમ મળવાપાત્ર FSI કરતા ૫૦ % વઘારે FSI થતી હોય, પ્લોટની હદથી બહાર નિકળતા પ્રોજેકશન, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, પાણીના નિકાલ, ઇલેકટ્રીક લાઇન, ગેસ લાઇન અને જાહેરઉપયોગી સેવાઓ ઉપર કરેલ બાંધકામ નિયમબધ્ધ થઇ શકશે નહી.

સરકારી, સ્થાનિક સત્તામંડળોની જમીનો પરના બાંધકામ, ચોકકસ હેતુ માટે સંપાદન/ ફાળવણી કરાયેલ જમીનો, જાહેર રસ્તામાં આવતી જમીનો, જળ પ્રવાહ અને જળ સ્ત્રોત જેવા કે તળાવ, નદી, કુદરતી જળપ્રવાહ વિગેરે, ઓબ્ઝોક્ષિયસ અને હેઝાર્ડસ ઔધોગિક વિકાસના હેતુ માટે નિયત કરાયેલ વિસ્તાર, શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ રમત ગમત નું મેદાન માં થયેલ બિનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ થઇ શકશે નહીં. * Fire Safetyના કાયદા મુજબ સુસંગત ન હોય, Structural Safety ની જરૂરીયાત જળવાતી ન હોય, Real Estate Regulatory Authority (RERA) Act 2016 હેઠળ ઠરાવેલ બિનઅધિકૃત બાંધકામ, Gujarat clinical Establishments (Registration and Regulation) Act, 2021 સાથે સુસંગત ન હોય તેવા બાંઘકામો નિયમબધ્ધ થઇ શકશે નહી. નિયત પાર્કીંગની જોગવાઇ પૈકી ૫૦ % પાર્કીંગ માલીક । કબ્જેદારે જે તે સ્થળે પુરી પાડવાની રહેશે. જે કિસ્સામાં આવા ૫૦ % પાર્કીંગની જરૂરીયાત જે તે સ્થળે પુરી પાડી શકાય તેમ ન હોઇ ત્યારે નિર્દિષ્ટ સત્તામંડળ આવી સુવિધા ૫૦૦મી.ની ત્રીજયામાં ૦૩ માસમાં પૂરી પાડવા જણાવશે. બાકીના ૫૦ % ખુટતા પાર્કીંગ માટે ફી લઈ બાંઘકામો નિયમબધ્ધ થઇ શકશે.

આ વટહુકમ હેઠળ અનધિકૃત વિકાસ અથવા તેના ભાગના નિયમિતકરણ થી તે મકાન/ બિલ્ડીંગ માટે સી.જી.ડી.સી.આર. કે અન્ય સંબધિત કાયદા હેઠળ આપવામાં આવતી વપરાશની પરવાનગી (BU Permission) માનવામાં આવશે. * તારીખ ૦૧-૧૦-૨૦૨૨ પહેલા થયેલા બિનઅધિકૃત બાંધકામો જ નિયમિત કરી શકાશે. બિનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવાની કાર્યવાહી સંદર્ભમાં વિગતો આપતા  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, વટહુકમ અમલમાં આવ્યાની તારીખથી ચાર માસમાં બિનઅધિકૃત બાંધકામ નિયમીત કરાવવા મકાનોના માલિક અથવા કબજેદારો e-Nagar Portal ઉપર ઓનલાઇન અરજી કરી શકશે.

(1:02 am IST)