Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અમદાવાદના ખોખરામાં લગ્નના પાંચ જ મહિનામાં પરિણીતાને ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: ખોખરામાં રહેતી પરિણિતાને બીજા લગ્નમાં પણ ભંગાણ પડયું હતું, લગ્નના પાંચ મહિનામાં આણંદમાં રહેતા સાસરીયા દ્વારા કારની માંગણી કરીને મહિલાને માનસિક-શારિરીક ત્રાસ આપીને મારઝૂડ કરીને કાઢી મૂકી હતી.

આ કેસની વિગત એવી છે કે  ખોખરા ન્યું મણિનગર વિસ્તારમાં ઇશ્વરકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા મિનાક્ષીબહેન વિપિનભાઇ વર્માએ આણંદમાં રહેતા  પતિ વિપિનભાઇ ચાદકિશન વર્મા સહિત પરિવારના ચાર સભ્યો સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે મહિલાના આઠ વર્ષ પહેલા પ્રથમ લગ્ન થયા હતા જો કે પતિ સાથે  મન  મેળના કારણે છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. 

ત્યારબાદ આણંદ ખાતે ગત જૂન માસમાં લગ્ન થયા હતા લગ્નના એક અઠવાડિયા સુધી સાસરીવાળાએ સારી રીતે રાખી હતી બાદમાં ઘર કામ બાબતે નાની નાની વાતમાં તકરાર કરતા હતા. તુ તારા પિતાના ઘરે થી કંઇ લાવી નથી કહીને ફોર વ્હીલની માંગણી કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપીને પતિ મારઝૂડ કરતો હતો, રક્ષાબંધનના દિવસે મહિલા પિયરમાં રહેવા આવી હતી ત્યારબાદ તાજેતરમાં મહિલાના પિતા સાસરીમાં મૂકવા જતાં પતિએ કાઢી મૂકી હતી.

 

(5:14 pm IST)