Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોંઘવારીના માર વચ્‍ચે મરચુ-જીરા સહિત મસાલાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

મરચુ-જીરાના ભાવમાં 30થી 35 ટકા વધારો થતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી

બનાસકાંઠા: દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગૃહિણીઓ પોતાના ઘર માટે મરચાં સહિત બરેમાસના મસાલા ખરીદતી હોય છે. પરંતુ આ વર્ષે મરચાં-જીરાના ભાવ આસમાને પહોંચતા મરચાંનો ભાવ દઝાડી રહ્યો છે. ગત વર્ષ કરતા ઉત્પાદન ઘટતાં ભાવમાં 30 થી 35 ટકાનો ધરખમ વધારો થતાં બારેમાસના મસાલા ખરીદતી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

વર્તમાન સમયમાં મરચાં અને ગરમ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. ત્યારે મધ્યમવર્ગ માટે આ વર્ષે અસહ્ય ભાવ વધારાને કારણે બારેમાસનો મસાલો ભરવો મોટો આર્થિક બોજો બની ગયો છે. મરચું અને જીરાના ભાવ ગત વર્ષ કરતા ખબુજ વધી જતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. તો બીજી બાજુ ભાવ વધતા મરચાંનો સ્વાદ ગૃહિણોને વધુ તીખો લાગી રહ્યો છે, એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં પણ અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો ભરવાની સીઝન ચાલી રહી છે અને મોટાભાગે લોકો અત્યારે મરચું, હળદર જીરું સહિત તમામ મસાલાની ખરીદી એકસાથે કરતા હોય છે. 

આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષ કરતાં 30 થી 35 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. આમ ગત વર્ષે પીસેલું મરચું 400થી 500 રૂપિયે કિલોના ભાવે મળતું હતું. જેમાં આ વર્ષે 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 500 રૂપિયાની જગ્યાએ 850 રૂપિયા, રેશમપટ્ટો 280ની જગ્યાએ 410, મારવાડ મરચું 350ની જગ્યાએ 500 અને પટણી મરચું 280ની જગ્યાએ 420માં વેચાય છે. જ્યારે જીરુમાં રૂપિયા 40નો વધારો થયો છે. આમ અલગ-અલગ મરચાની અંદર 30 થી 40 ટકાથી પણ વધુ ભાવ વધારો થતાં બારમાસી મરચાં અને મસાલા ખરીદવા આવતી ગૃહિણીઓ ભાવ વધારાને લઈને ગત વર્ષ કરતા ઓછું મરચું અને મસાલા ખરીદી રહી છે અને અસહ્ય ભાવ વધારાના કારણે પોતાના ઘરનું બજેટ ખોરવાયાની ચિંતા વ્યક્ત કરી રહી છે.

ગૃહિણી સ્વીટીબેન પઢીયાર કહે છે કે, આ વખતે મરચામાં ખુબ જ ભાવ વધારો થયો છે જેથી અમે આ વખતે અમારા બજેટ પ્રમાણે ખરીદી કરી છે. તો મીરાબેન ગુપ્તાએ કહ્યું કે, અમે દર વર્ષે વર્ષ દરમિયાન 10 કિલો મરચું ભેગું ખરીદતા પણ આ વખતે ભાવ વધતા અમારું બજેટ ખોરવાયું છે. આ વખતે જે ભાવ વધારો થયો એટલે મારા પોકેટ ઉપર માર પડ્યો છે.

આ વર્ષે ગરમ મસાલા અને મરચાંનો અસહ્ય ભાવ વધારો ફક્ત આમ પરિવારને જ નહીં પણ વેપારીઓને દઝાડી રહ્યો છે, મરચાંના ભાવ વધારાની વાત કરીએ તો સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી 85 ટકા મરચાનું ઉત્પાદન થાય છે. ગત ડિસેમ્બર માસમાં ઉપરાછાપરી બે વાવાઝોડા આવી પડતાં મરચાનો પાક ખરી પડયો હતો.પાકનું નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા મરચાનું ઉત્પાદન ઓછું થયું છે. માગ વધી જતા ભાવમાં વધારો થયો છે. આ વર્ષે શિયાળો છેક હોળી સુધી ચાલ્યો. સામાન્ય રીતે શિવરાત્રી પછી ઠંડી તબક્કાવાર ઘટી જતી હોય છે. પરંતુ આ વર્ષે એવું ન બન્યું. ઠંડી છેક હમણાં સુધી રહી. આ સ્થિતિમાં ઠંડક અને ઝાકળ પડવાના કારણે ધાણા જીરૂનો પાક બગડી ગયો હતો. જેના કારણે મોટા પ્રમાણમાં ઉત્પાદનની ઘટ જોવા મળી છે. વીઘા પર 1000 કિલોના ઉત્પાદન સામે ફક્ત 700 કિલો જીરાનું ઉત્પાદન થયું છે. મરચાં અને ગરમ મસાલાના ભાવ વધારા પાછળ પેટ્રોલ,ડિઝલ અને સીએનજીમાં થયેલો ભાવવધારો પણ એક કારણ છે. જોકે ખેતીમાં હવામાનને ઉત્પાદન ઘટ અને ભાવવધારા માટેનું મુખ્ય કારણ વેપારીઓ માની રહ્યા છે.જોકે વેપારીઓ કહી રહ્યા છે કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે મરચાં સહિતનો પાક બગડ્યો છે અમારી ખરીદી ખુબજ ઊંચી ગઈ છે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધ્યો છે અને હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે અમારું બજેટ પણ ખોરવાયું છે.

વેપારી રમેશભાઈ કરર્ણાવત કહે છે કે, આ વર્ષે 30 થી 35 ટકા મરચામાં ભાવ વધારો થયો છે કમોસમી વરસાદ થતાં ભાવ વધ્યો છે અમે પણ ડરીને ખરીદી કરીયે છીએ અમને મોંઘુ પડે છે અને ગ્રાહકને પણ મોંઘુ પડે છે અમારી સ્થતિ બગડી છે.

(5:22 pm IST)