Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

ધોળકા પાસે ખંભાતના પરિવારને ગંભીર અકસ્‍માત : પાંચ લોકોના ઘટના સ્‍થળે જ મોત : ત્રણને ગંભીર ઇજા પહોંચી

પાણીતાળાની પરિક્રમા કરી પરત ફરતા સર્જાયો કરૂણ અકસ્‍માત

ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કાર આગળના ભાગથી પડીકું વળી ગઈ હતી. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે 6 દિવસ પહેલાં જ લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોડનાં કામ ચાલતાં હોવાથી રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલાં દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું અવસાન થયું હતું. અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.

(2:44 pm IST)