Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમા ગુજરાતના પૂર્વ રાજયપાલ સ્વ. શ્રી ઓમ પ્રકાશ કોહલીને ભાવભરી શ્રધ્ધાંજલિ અપાઈ : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ

રાજકોટ તા.૨૨ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના પૂર્વ રાજયપાલ સ્વ. શ્રી ઓમ પ્રકાશ કોહલીને ભાવભરી શ્રધ્ધાંજલિ આપીને તેમના આત્માને પરમશાંતિ મળે તેવી પ્રભુપ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ. સ્વ. શ્રી ઓમ પ્રકાશ કોહલીના અવસાન અંગે રાજય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યકત કરે છે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતુ. 

પ્રવક્તા મંત્રી શ્રીએ કહ્યું હતુ કે, ગુજરાતના પૂર્વ રાજયપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીનું ગત તા.૨૦ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ અવસાન થયું હતુ. નવી દિલ્હીમાં તા.૯મી ઓગસ્ટ ૧૯૩૫ના રોજ જન્મેલા સ્વ. શ્રી કોહલી પ્રખર દેશભકત હતા. તેઓશ્રીએ રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી વિષય સાથે માસ્ટર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો હતો. ૩૭ વર્ષ સુધી તેઓએ હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે પણ સેવા આપી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, શ્રી કોહલી કુશળ સંગઠક અને સંનિષ્ઠ કર્તવ્યપરાયણતાને વરેલા હતા. તેઓએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન MISA (Maintenance of Internal Security Act.) હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જેલવાસ ભોગવ્યો હતો. તેઓ વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૦ સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVP ના પ્રમુખ પણ રહી ચૂક્યા હતાં.

પ્રવક્તા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યુ હતુ કે, તા.૧૬મી જુલાઇ ૨૦૧૪ થી તા. ૧૫મી જુલાઇ ૨૦૧૯ સુધી ગુજરાતના રાજયપાલશ્રી તરીકેના તેમના યશસ્વી કાર્યકાળ દરમ્યાન ગુજરાતની વર્તમાન વિકાસ યાત્રાનો નકશો કંડારવામાં સ્વ શ્રી ઓમ પ્રકાશ કોહલીએ આપેલું યોગદાન સદાય અવિસ્મરણીય બની રહેશે. સંવૈધાનિક સંસ્થાઓ અને બંધારણીય મુલ્યો પરત્વે તેમને ખૂબ જ આદર હતો અને તેનું સંવર્ધન કરવા માટે તેઓ સતત જાગૃત રહ્યા હતા. આ ઉપરાંત તા.૦૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ થી તા.૧૯મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી ગુજરાતની સાથે સાથે મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

(3:30 pm IST)