Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ભાજપની એક પદ એક નેતાની ફોર્મ્‍યુલા પ્રમાણે અન્‍ય નેતાઓને પણ રાજીનામા આપવા પડશે

જ્‍યાં હાર અને આંતરીક વિખવાદ હોય તેવા જિલ્લાઓમાં ફેરફારને અવકાશ રહેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 156 સીટો પર વિજેતા બન્યા બાદ ભાજપ હવે લોકસભાની તૈયારીમાં લાગી ગયું છે. બનાસકાંઠા, દ્વારકા, સુરેન્દ્ર નગર અને અમરેલી પછી હવે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે 2 જિલ્લાના પ્રમુખો બદલી કાઢ્યા છે. હવે બીજા આઠનો વારો પડશે. ભાજપ એક પદ એક નેતાની ફોર્મ્યુલાને આગળ વધારી રહી છે. સરકાર કે સંગઠનમાં એક જ હોદ્દાને પગલે હવે આગામી દિવસોમાં બીજા 8 રાજીનામા પડે તો નવાઈ નહીં. ધારાસભ્ય પદે ચૂંટાતા વડોદરાના મેયર અને રાજકોટના ડેપ્યુટી મેયરનું રાજીનામું લઈ લેવાયું છે. ગુજરાત પ્રદેશ ભાજપે રાજ્યમાં 10 જેટલા જિલ્લા અને શહેરના પ્રમુખને વિધાનસભાની ટિકિટ આપી હતી. જેમાંથી વિજેતા બનેલા પ્રમુખોને બદલવાની ઘણા સમયથી ચર્ચા હતી. જેમાંથી 2 ની નાંદુરસ્ત તબિયત અને 2 જિલ્લાના પ્રુમખોને વિધાનસભાના દંડક બનાવતાં રાજીનામા લઈ લેવાયા છે. હવે ભાજપમાં જિલ્લા પ્રમુખ માટે આંતરિક ખેંચતાણો પણ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ જૂથો ભાજપનું પ્રમુખ પદ મેળવવા માટે લાંબિગ કરી રહ્યાં છે. 

બીજા પદ પર હોવાથી રાજીનામા આપવા પડશે
આગામી દિવસોમાં અમદાવાદ શહેર સહિત અન્ય જિલ્લાઓમાં ફેરફાર થઈ શકે છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેટર રહેલા કંચનબહેન રાદડિયા, દિનેશ કુશ્વાહ હવે ધારાસભ્ય છે. પ્રદેશ મંત્રી મહેશ કસવાલા, રાજકોટના કોર્પોરેટર ભાનુબહેન બાબરિયા (કેબિનેટ મંત્રી) સહિત અનેક સંગઠનમાં પદાધિકારી અથવા પ્રમુખો સ્થાનિક સંસ્થામાં જનપ્રતિનિધી છે. આથી, આવા ધારાસભ્યોને અગાઉની જવાબદારીમાંથી મુક્ત કરીને નવી નિયુક્તિ થાય તો નવાઈ નહી. ભાજપે સરકાર કે સંગઠન બંનેમાંથી એક જ પદનો નિર્ણય લીધો હોવાથી સંગઠનમાં રહેલા નેતાઓએ રાજીનામા આપી દેવા પડશે. જેના પગલે આગામી દિવસોમાં પણ નવા રાજીનામા પડશે.

આ પ્રમુખોને તાત્કાલિક હટાવાયા
વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જ્યાં હાર, આંતરીક ખટપટનો સામનો કરવો પડ્યો એવા બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં ગત સપ્તાહે પ્રમુખો બદલાયા હતા. સાથે જ અમરેલી, સુરેન્દ્રનગરના જિલ્લાના પ્રમુખો ધારાસભ્યપદે ચૂંટાયા બાદ ઉપદંડકપદે નિયુક્ત થતાં ત્યાં પણ નવા પ્રમુખો નિમાયા હતા. ભાજપમાં એક વ્યક્તિ નેક પદના સિધ્ધાંતને પગલે વડોદરાના મેયરપદેથી કેયુર રોકડિયા અને રાજકોટના ડેપ્યુટી મેયરપદેથી ડો.દર્શિતા રાજીનામા આપ્યા હતા. હવે આ બંને પદો પર નવી નિયુક્તિ થશે. 

સૌથી પહેલા ખેડા અને વડોદરાના જિલ્લા પ્રમુખો અનુક્રમે અશ્વિન પટેલ અને વિજય પટેલે અંગત કારણોસર જવાબદારી સંભાળવામાં પ્રતિકૂળતા દર્શાવ્યાનું જાહેર કરીને ભાજપે આ બંને જિલ્લાના સંગઠનને વિખેરી નાખ્યું હતું.  બાદમાં ખેડામાં અજય બ્રહ્મભટ્ટ અને વડોદરામાં પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ (નિશાળિયા)ને પ્રમુખપદે નિમ્યા હતા. આમ ભાજપ એક વ્યક્તિ એક પદના નિયમને આગળ વધારી શકે છે. જેમાં મોટા માથાઓએ સંગઠનમાંથી રાજીનામા આપવા પડશે. આગામી દિવસોમાં આ ફેરફારો જોવા મળશે.

(6:11 pm IST)