Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

આણંદ તાલુકાના વહેરાખાડી ગામ નજીક મહીસાગર નદીના પટમાંથી બે અજાણ્યા પુરુષોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

આણંદ : આણંદ તાલુકાના વહેરાખાડી ગામ નજીકથી પસાર થતી મહિસાગર નદીના પટમાંથી આજે સવારના સુમારે ૫૫ થી ૬૦ વર્ષના આશરાના બે અજાણ્યા પુરુષોના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. નદીના પાણીમાં સ્થાનિકોએ તરતા બે મૃતદેહ નીહાળતા ખંભોળજ પોલીસને જાણ કરી હતી. જેથી ખંભોજળ પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી જઈ બંને આધેડ પુરુષોના મૃતદેહનો કબ્જો મેળવી અપમૃત્યુની નોંધ નોંધી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના ખંભોળજના વહેરાખાડી નજીકથી પસાર થતી મહિસાગર નદીના સંગમતીર્થ નજીક આવેલ હાથીયો પથ્થર પાસે આજે સવારના સુમારે ૫૫ થી ૬૦ વર્ષના આશરાના બે અજાણ્યા પુરૂષના મૃતદેહ પાણીમાં તરતા લોકનજરે ચઢ્યા હતા. આ વાત વાયુવેગે સ્થાનિકોમાં ફેલાતા સ્થાનિકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. દરમ્યાન સ્થાનિકોએ આ અંગે ખંભોળજ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે બંને પુરુષના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને બાદમાં સરકારી દવાખાના ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. હાલ તો ખંભોળજ પોલીસે આ અંગે અપમૃત્યુની નોંધ નોંધી બંને પુરુષોના સગાસંબંધીની શોધખોળ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ૫૫ થી ૬૦ વર્ષના આશરાના આ બે અજાણ્યા પુરુષોના મૃતદેહ અન્ય સ્થળેથી પાણીમાં તણાઈને આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે કયા સંજોગોમાં આ બંનેના મૃત્યું નીપજ્યાં તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(6:29 pm IST)