Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવારની કાળજી રાખતી ગુજરાત સરકાર:રાજ્યનાં નાગરિકોની સેવામાં ૮૦૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન,૨ બોટ એમ્બ્યુલન્સ અને ૧ એર એમ્બ્યુલન્સ કાર્યરત

૧૦૮ દ્વારા મે-૨૦૨૨ સુધીમાં રાજ્યના ૧.૩૫ કરોડથી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડાઈ: પ્રસૂતિ સંબંધિત આશરે ૪૬ લાખ જેટલા ઈમરજન્સી કેસ તેમજ રોડ અકસ્માત સંબંધિત આશરે ૧૭ લાખ જેટલા ઈમરજન્સી કેસમાં તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડાઇ : ૧૨.૪૬ લાખથી વધુ લોકોને અત્યંત કટોકટીની પળોમાં સારવાર પૂરી પાડી જીવ બચાવાયો: એમ્બ્યુલન્સમાં કાર્યરત ઈ.એમ.ટી. દ્વારા ૭૬,૫૬૫ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ ૪૨,૫૪૫ મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાઈ

ગાંધીનગર :રાજ્યનાં નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ની સેવાને આજે વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘૧૦૮ એમ્બ્યુલન્સ સેવા’ ખરેખર આશીર્વાદ સમાન બની છે.

રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજન હેઠળ થયો હતો. આગામી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ૧૦૮ સેવા ગુજરાતમાં ૧૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટીબધ્ધ છે. સાથે-સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ પણ અભૂતપૂર્વ છે.
૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. ૧૦૮ સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ “ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર” પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરીકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વ હેઠળ ૧૦૮ દ્વારા મે-૨૦૨૨ સુધીમાં રાજ્યભરમાંથી લગભગ ૧ કરોડ ૩૫ લાખ ૨૧ હજારથી પણ વધુ ઇમરજન્સી હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. આ ઉપરાંત ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં ૪૫ લાખ ૯૦ હજારથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત ૧૬ લાખ ૮૪ હજારથી વધુ ઈમર્જન્સી તેમજ ૧૨ લાખ ૪૬ હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે.
વધુમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા ૭૬,૫૬૫ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ ૪૨,૫૪૫ મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે.
ટેકનોલોજીનાં માધ્યમથી ૧૦૮ ઇમરજન્સી સેવાનો લાભ નાગરીકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા “૧૦૮ ગુજરાત” નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત કરવામાં આવી છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનું ડિજિટલાઈઝેશન થતા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે.
માત્ર ૫૩ એમ્બ્યુલન્સથી શરૂ થયેલી ૧૦૮ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં ૨ બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે.
હરહંમેશ નવતર અભિગમો થકી અન્યોને રાહ ચીંધતા ગુજરાત રાજ્યની યશકલગીમાં તાજેતરમાં જ વધારો થયો છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા કટોકટીની પળોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૨૧મી માર્ચ, ૨૦૨૨ના રોજથી ગુજરાત અને દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત એર એમ્બ્યુલન્સ સેવા શરુ કરવામાં પણ દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું છે.
આ ઉપરાંત રાજ્યભરની ૧૦૮ની ટીમ દ્વારા અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા લોકોના સગાઓને તેમના સ્વજનોની લાખો રૂપિયાની રોકડ સોનાચાંદીના દાગીના સહિતની મોંઘી વસ્તુઓ પરત કરીને પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ ૧૦૮ ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.
અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચીને ૧૦૮ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

(7:23 pm IST)