Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વડોદરામાં 2 વર્ષ બાદ નવલા નોરતામાં રાસ-ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયારઃ નવલખી મેદાનમાં વીએનએફ ગ્રુપ દ્વારા તૈયારીને આખરી ઓપ

આ વર્ષે વડોદરાના પ્રખ્‍યાત યુનાઇટેડ-વે અને નવરાત્રી ફેસ્‍ટીવલના આયોજકોએ મેદાન બદલાવ્‍યા

વડોદરાઃ નવલા નોરતામાં રાસ-ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયાર છે. વડોદરામાં જુદા-જુદા અર્વાચીન રાસોત્‍સવના આયોજનો થયા છે.

નવરાત્રિના પર્વની ગુજરાતના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વડોદરાના ખેલૈયાઓ ગરબા રમવા માટે આતુર થયા છે. કોરોનાના બે વર્ષ બાદ ખેલૈયાઓ ગરબા રમી શકશે. ત્યારે હવે ગરબા આયોજકો મેદાન તૈયારી કરવાની કામગીરીને આખરી ઓપ આપી રહ્યા છે. વડોદરાના પ્રખ્યાત યુનાઈટેડ વે અને નવરાત્રી ફેસ્ટીવલના આયોજકોએ આ વર્ષે મેદાન બદલ્યા છે. જેનુ કારણ બે વર્ષના બ્રેક બાદ ખેલૈયાઓમાં જોવા મળેલો થનગનાટ છે. ખેલૈયાઓની સંખ્યા વધવાના કારણે આયોજકોએ મેદાન બદલ્યા છે. મેદાનમાં 30 હજારથી વધુ લોકો પહોંચે તે રીતે તૈયારી કરવામાં આવી રહી છે. શહેરના નવલખી મેદાનમાં VNF ગ્રુપ ગરબાની તૈયારી કરી રહ્યું છે. ગરબાના તૈયારીના ડ્રોન વીડિયો સામે આવ્યા છે.

ગરબા માટે વડોદરા પ્રખ્યાત છે. તેથી વડોદરાના ગરબા પર સૌની નજર હોય છે. કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રિ થઈ રહી છે, ત્યારે હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકોનો ઉત્સાહ જોતા આ વર્ષે દરેક ગરબા આયોજકોએ લોકોની ભીડને જોતા મેદાન બદલ્યું છે. આ વર્ષે વધુ ખેલૈયાઓ આવે તેવુ આંકડા કહે છે. કારણ કે, વધુ પાસ ડિસ્ટ્રીબ્યુટ થયા છે. તેથી આયોજકોએ 30 હજારથી વધુ લોકોનો સમાવેશ થાય તેવા મેદાન તૈયાર કર્યા છે. જેમાં કેટલાક ગરબામાં 50 હજારની કેપેસિટી રાખવામાં આવી છે. નવલખી મેદાનમાં આયોજિત VNF ગરબાના તૈયારીઓના ડ્રોન કેમેરાના વીડિયો સામે આવ્યો છે. ગરબાના મેદાનના આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ કેવી તૈયારી ચાલી રહી છે. નવરાત્રિને હવે ચાર દિવસ જ બાકી છે, ત્યારે વડોદરામાં થનગનાટ જોવા મળ્યો છે. 

2 કલાક ગરબા રમાશે

કોરોના કાળ બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તેથી નવરાત્રિમાં પહેલીવાર ગરબામાં મેડિકલ સુવિધાએ પણ સ્થાન લીધું છે. ઓક્સિજન સહિતની એમ્બ્યુલન્સ ઉપરાંત ડૉક્ટર્સની ટીમ પણ હાજર રહેશે. વરસાદ પડે તો પણ 2 કલાકમાં ગરબા થઇ શકે તેવું આયોજન છે.

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ પણ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રિમાં દરરોજ નવા સ્ટેપ્સની સાથે અલગ ડિઝાઈનર ચણીયાચોળી પહેરવાનો ક્રેઝ જોવા મળે છે. ત્યારે આ વર્ષે ટીશ્યુ કાપડમાંથી બનેલી રજવાડી સ્ટાઈલ, ગોટા પત્તીની ચણીયાચોળીની ડિમાન્ડ છે. ડિઝાઈનર્સ દ્વારા પણ ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ચણીયાચોળી તૈયાર કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ડિઝાઈનર તત્વા ઠક્કરે 100થી વધુ ડિઝાઈનર ચણીયાચોળી તૈયાર કરી છે. જેમાં ડિઝાઈનથી લઈ વર્ક અને કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

(4:15 pm IST)