News of Thursday, 23rd March 2023
અમદાવાદ તા. ૨૧ આજથી એક વર્ષ પૂર્વે તા. 20-3-22 ના રોજ છારોડી એસજીવીપી ખાતે ૨૫૦૦૦ ઉપરાંત ભાવિક ભકતો અને ૧૦૮ સંતોની ઉપસ્થિતિમાં માધવપ્રિયદાસજી સ્વામી લિખિત ધર્મજીવન ગાથાનો વિમોચન ક્રાર્યક્રમ ‘ભાવવંદના પર્વ’ તરીકે ઉજવાયો હતો.
આ વિમોચનને એક વર્ષ પુર્ણ થતા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હસ્વસ્વરુપદાસજી સ્વામી અને અન્ય સંતોના સંકલ્પથી તા. 20-3-2023 સોમવારે અમદાવાદ મેમનગર ગુરુકુલ ખાતે ભાવવંદના પર્વ વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
શરુઆતે પંદર મિનિટ ભગવાનની સમૂહ ધૂન બાદ ભગવાન સ્વામિનારાયણની અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ચિત્ર પ્રતિમાને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ હાર પહેરાવી, ચંદનની અર્ચા કરી પૂજન કર્યું હતું.
ત્યારબાદ મેમનગર ગુરુકુલના વિદ્યાર્થી ભાખર દક્ષ, ડેર નિકુલ, ભીમાણી નિમિત્ત, સાવલિયા રાજ અને ખેર વાસુદેવે ધર્મજીવન ગાથાનો પરિચય અને શાસ્ત્રીજી મહારાજના જીવન વિષે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ત્યારબાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે સ્વામી માધવપ્રિયદાસજી લિખિત ધર્મજીવન ગાથા તો ગાગરમાં સાગર છે. અને જણાવ્યું હતું કે... ‘પ્રવર્તનીયા સદ્વિદ્યા ભૂવિ યત્સુક્રતં મહત્ ।‘ પૃથ્વીને વિષે સદ્ વિદ્યાનું પ્રવર્તન કરવું, એ સૌથી મોટું પુણ્ય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગળ આજ્ઞા પ્રમાણે અને આ શ્લોકને મૂર્તિરુપ આપવા માટે શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઇ.સ.૧૯૪૮ માં વસંતપંચમીએ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરીને સંપ્રદાયમાં એક ક્રાન્તિ આણી છે.
જોતજોતામાં ગુરુકુલના માધ્યમથી દેશ વિદેશમાં સંસ્કાર યુક્ત શિક્ષણની સુવાસ ચારે તરફ વસંતની વનરાઇની જેમ પ્રસરી ગઇ. આ મહાપુરુષે વાવેલું સદ્વવિદ્યાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. સદ્વિદ્યાના માધ્યમથી અન્નદાન, વિદ્યાદાન, અભયદાનનું સદાવ્રત માંડનાર એવા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું જીવન અનેક આયામોથી પ્રેરણાદાયી અને અનુકરણીય છે. શાસ્ત્રીજી મહારાજ ધામમાં સિધાવ્યા તેને ૩૭ વર્ષ થયા છે. છતાં આજે પણ એમનું કાર્ય સમુદ્રમાં આવતી ભરતીની જેમ દિનપ્રતિદિન પ્રગતિના સોપાન સર કરી રહેલ છે
આવા મહાન સંતનું જીવન ચરિત્ર લખવું એ મહાન કાર્ય છે. આ મહાન કાર્યને સ્વામીજીના કૃપાપાત્ર શિષ્ય, વેદાન્તાચાર્ય અને SGVP ગુરુકુલના નિર્માતા શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સાકાર સ્વરુપ આપીને જેવું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું મહાન કાર્ય છે, એવો જ વિશાળ અને પ્રેરણાદાયી ગ્રન્થ સતત દશ વર્ષના પુરુષાર્થ પછી તૈયાર થયેલ છે. આ ધર્મજીવન ગાથા ગ્રંથ છ ભાગ અને ચાર હજાર પાનામાં કંડારાયેલ છે. આ ગ્રન્થ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના જીવન તથા ગુરુકુલ ઇતિહાસ માટે એન્સાઇકલોપીડિયા સમાન છે. આ ધર્મજીવન ગ્રન્થનો લોકાર્પણ વિધિ ગત તા. 20-3-2022ના રોજ ૧૦૮ મહાન સંતો અને મહાનુભાવોના વરદ હસ્તે કરવામા આવેલ. આ ગ્રંથના લોકાર્પણ સાથે જ ત્રણ વર્લ્ડ રેકોર્ડ પણ બન્યા છે. ૧) કોઈ સંત પુરુષના જીવન ચરિત્ર ૪૦૦૦ હજાર કરતાં વધારે પાનામાં ગ્રન્થ પ્રકાશિત થયું હોય એ વિશ્વ સ્તરે વિક્રમ છે. ૨) એક સાથે ૧૦૮ સંતો અને મહાનુભાવોએ એક ગ્રન્થનું લોકાર્પણ કર્યું હોય એ વિશ્વ વિક્રમ પણ આ ગ્રંથના નામે અંકિત થયો. ૩) ગ્રંથ વિમોચનના જ પ્રસંગમાં, ગ્રંથનું વિમોચન ૨૫,૦૦૦ કરતાં વધારે વ્યક્તિઓની ઉપસ્થિતિમાં થયું હોય એ વિશ્વ વિક્રમ પણ આ સાથે બન્યો. એક ગ્રંથના વિમોચનમાં ત્રણ-ત્રણ વિશ્વ વિક્રમ નોંધાયા હોય એ પણ એક વિશ્વ વિક્રમ રૂપ અદ્વિતીય મંગલ પ્રસંગ છે.
જેની કલમે આ ધર્મજીવન ગાથા કંડારાઇ છે એવા સંત શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને કોટિ કોટિ વંદન!. અંતમા શાસ્ત્રી ભકતવત્સલદાસજી સ્વામીએ ધર્મજીવન ગ્રન્થની વિશેષતા અને માધવપ્રિયદાસજી સ્વામીના જીવન વિષે વાતો કરી આગામી તા.27 ડીસેમ્બર થી 31 ડીસેમ્બર 2023 દરમ્યાન અખંડ યજ્ઞઅનુષ્ઠાન પરાયણ અક્ષરનિવાસી પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં સ્મૃતિ મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી હતી. સભાનું સંચાલન ભાનુભાઇ પટેલ સુપેરે સંભાળ્યું હતુ.