Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર : રાજ્યમાં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂ. ૬.૨૩ લાખ લાભાર્થીઓને રૂ.૧૯૭૦ કરોડની લોન અપાઈ: ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત

મહીસાગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૩૭૨ લાભાર્થીઓને રૂ. ૪,૪૯૧.૨૧ લાખની લોન અપાઈ : મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૫,૨૮૦ લાભાર્થીઓને રૂ. ૧૪,૬૬૭.૯૦ લાખની લોન અપાઈ

રાજકોટ તા.૨૩ : રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી આપવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. રાજ્યભરમાંથી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ૬.૨૩ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૧૯૭૦ કરોડની લોન બેંકો દ્વારા આપવામાં આવી છે.

આજે વિધાનસભા ખાતે મહીસાગર જિલ્લામાં શ્રી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અપાયેલ લોનની રકમના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે,વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ મહીસાગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧,૩૭૨ લાભાર્થીઓને રૂ. ૪,૪૯૧.૨૧ લાખની લોન બેંકો દ્વારા આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં આ યોજના વર્ષ ૨૦૦૧થી શરૂ કરીને શિક્ષિત બેરોજગારોને ઉદ્યોગ, વેપાર અને સેવા ક્ષેત્રે આવરી લઈને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. આ માટે લાભાર્થીઓ એ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની હોય છે આ અરજીઓની ચકાસણી કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બેંકોને ભલામણ કરવામાં આવે છે અને ત્યારબાદ અરજીની સંપૂર્ણ ચકાસણી બાદ લાભાર્થીને રૂ. ૮ લાખ સુધીની લોન આપવામાં આવે છે જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૨૫ લાખની સબસીડી આપવામાં આવે છે.

આ માટે અરજદારોએ આધાર પુરાવા માટે જ્ઞાતિનું પ્રમાણપત્ર,શૈક્ષણિક લાયકાત,અનુભવ, જે ધંધો કરવા માંગતા હોય તેની વિગતો, પાસપોર્ટ સાઈઝના ફોટા સહિતની વિગતો સાથે અરજી કરવાની હોય છે.આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓ જેટલા વધુ જાગૃત હોય  એટલી લોન ઝડપીથી મળે છે. રાજ્ય સરકાર દ્વારા આ માટે સતત મોનીટરીંગ કરીને બેંકો સાથે જરૂરી સંકલન કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મહેસાણા જિલ્લામાં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળના અન્ય એક પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી રાજપૂતે ઉમેર્યું હતું કે,મહેસાણા જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૫,૨૦૮ લાભાર્થીઓને રૂ. ૧૪,૬૪૭.૯૦ લાખની લોન આપવામાં આવી છે. આ જ યોજનાના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કેટલી સહાય મહેસાણા જિલ્લામાં અપાઈ છે તેવા પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે કહ્યું કે,વાજપાઈ બેકેબેલ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૧૭,૬૭૬ લાભાર્થીઓને રૂ. ૩૦૮ કરોડની લોન આપવામાં આવી છે.

 

(3:37 pm IST)