Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મહેસાણાના ડાભલા ગામમાં માતા-પિતા ગુમાવનાર આદિવાસી પરિવારના પાંચ બાળકો માટે નિરાધારના આધાર ખજુરભાઇ દેવદુત બન્‍યાઃ 5 લાખના ખર્ચે મકાન બનાવવાની કામગીરી શરૂ કરી

જીગલી ખજુર હાસ્‍ય એપિસોડ બનાવનાર ખજુરભાઇ (નીતિન જાની)ની દેશભરમાં લોકચાહના

મહેસાણા: ખજૂરભાઈ નામ હવે લોકો માટે અપરિચિત રહ્યું નથી. જીગલી ખજૂર કોમેડી એપિસોડથી નીતિન જાની ખજૂરભાઈ ગુજરાતમાં લોકપ્રિયતા મેળવી ચુક્યા છે. ત્યારે હવે કોમેડી શો સાથે નીતિન જાની હવે સેવાકીય પ્રવૃત્તિથી લોકો દિલ જીતી રહ્યા છે. મહેસાણા જિલ્લાના ડાભલા ગામમાં એકદમ જરૂરિયાતમંદ પરિવાર માટે ખજૂરભાઈ આગળ આવ્યા છે. 

નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ મહેસાણા જિલ્લામાં સેવા અર્થે તેમની ટીમ સાથે પહોંચ્યા છે, ત્યારે વિજાપુરના ડાભલા ગામમાં નિરાધાર બનેલા ભરથરી પરિવારના અશક્ત દાદા-દાદી સાથે રહેતા 5 બાળકોના અભ્યાસ સાથે માટીના કાચા મકાનની જગ્યાએ પાકું મકાન બનાવી આપવાની જવાબદારી જાણીતા યુટ્યુબર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ લીધી છે. 2 રૂમ, રસોડાના નવા મકાનનું કામ પણ શરૂ કરી દેવાયું છે. 

આ અંગે ખજૂરભાઈએ જણાવ્યું હતું કે, ડાભલા ગામમાં 5 બાળકોના પિતાએ છ એક વર્ષ પહેલાં ડિપ્રેશનમાં આવી કેરોસીન છાંટી આત્મહત્યા કરી લીધી હતી. પિતાના અવસાન બાદ માતા પણ ઘર છોડીને જતા રહ્યા હતા. 75 વર્ષના દાદા-દાદી અશક્ત છે. એટલે 15 વર્ષનો મોટો દીકરો મજૂરી કામ કરી ઘરનું ભરણ પોષણની જવાબદારી સંભાળી હતી. જો કે બાળક હોઈ કોઈ કામે રાખતું ન હતું. સપ્તાહમાં એક બે વખત રૂ.100 થી 150 મળી જતા. જ્યારે 12 વર્ષની લક્ષ્મી પરિવારનું જમવાનું બનાવી રહી છે. ભરથરી પરિવાર માટીના કાચા મકાનમાં રહે છે. રૂ. 5 લાખના ખર્ચે 2 રૂમ, રસોડું વાળું મકાન બનાવવાની કામગીરી શરૂ કરી છે. 

મકાન બન્યા બાદ ઘરમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સાથે બે વર્ષ ચાલે તેટલું કરીયાણુ ભરી આપીશું. આ સાથે પાંચેય બાળકોના અભ્યાસની તમામ જવાબદારી અમારી રહેશે. ભાવુક બનેલા 75 વર્ષીય કૈલાસભાઈ ભરથરી અને તેમના પરિવારે ભીની આંખો સાથે ખજૂરભાઈને દેવદૂત ગણી આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ખજૂરભાઈની આ સેવાકીય કામગીરીની ડાભલા તેમજ આસપાસના ગ્રામજનો બિરદાવી રહ્યા છે.

જીગલી ખજૂર હાસ્ય એપીસોડ બનાવનાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આ નામ એવું છે જેને ગુજરાત સહિત દેશભરમાં લોક ચાહના મેળવી છે. ખજૂરભાઈના બહુ બધા ફેન અને સબસ્ક્રાઇબરો જોવા મળી રહ્યા છે. નીતિન જાની હાલમાં સેવા કીય પ્રવૃત્તિને વધુ વેગ સાથે મહત્વ આપી રહ્યા છે. નીતિન જાની અને તેમની ટિમ હાલમાં જરૂરિયાત મંદો ને શોધી તેમના સુધી પહોંચી જરૂયાતો પુરી કરી મદદ કરી રહ્યા છે. ખાસ ગરીબ બાળકોના અભ્યાસ સાથે તેમની જરીયાત પુરી કરવા માટે આગળ આવ્યા છે. 

ગુજરાતમાં ખુણેખૂણે પહોંચી એક જાતસર્વે કરી અત્યાર સુધી 237 જેટલા છત વિહોણા પરિવાર ને તેમને ઘરનું ઘર બનાવી ચુક્યા છે. નીતિન જાની ને આ સેવા માટે ખાસ પૂછતાં તેમણે જણાવ્યું કે પોતાની આવકનો 90 ટકા હિસ્સો ગરીબ લોકોની સેવામાં વાપરી રહ્યો છું હું કોઈ પાસે ફંડ માંગતો નથી પણ જે કોઈ મારી સેવાકીય કામગીરીથી ખુશ છે તે મારો સંપર્ક કરે છે અને મારી આ સેવા માં સહયોગી થઈ રહ્યા છે. તેમના આ કાર્ય પાછળ કોઈ હેતુ તેવું પૂછતાં તેમણે સહજતાથી જવાબ આપ્યો કે મને જેમાં આનંદ મળે છે એ કાર્ય કરું છું.

ખુજરભાઈની ડાભલા ગામમાં ચાલી રહેલ નવીન કામમાં લોકો આવી રહ્યા છે અને મકાન બનાવવા શ્રમ રૂપી મદદ કરી રહ્યા છે અને ખજૂરભાઈને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા હતા. ઉપસ્થિત લોકોએ હાલમાં તો તેમની કામગીરીના વખાણ કરી ખજૂરભાઈની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે. 

(6:23 pm IST)