Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

14થી 16 માર્ચમાં માવઠાની આગાહી સાચી પડતા ફરી રાજ્‍યમાં 24થી 25 માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી

તોફાની પવન સાથે કરા અને વરસાદ પડવાથી ખેડૂતો ચિંતાતુર બનતા ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની માઠી દશા

અમદાવાદઃ ગુજરાતમાં વધુ બે દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે, 2 દિવસ બાદ ગુજરાતના માથા પરથી કમોસમી વરસાદનું સંકટ ટળી શકે છે. ચાર દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને પોરબંદરમાં વરસાદની ગતિ વધુ રહેશે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી કરી છે જેમાં માર્ચ અને એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકશે. આ બંને મહિનામાં કમોસમી વરસાદ થઈ શકે છે અને વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. ખેતી પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે અને અનેક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. રાજ્યમાં છાશવારે વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે અને ખેતી પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થઈ રહ્યું છે અને હજુ પણ માર્ચ મહિનામાં બીજું માવઠું થશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 14 થી 16 માર્ચમાં ફરી માવઠું થવાની આગાહી છે જે આગાહી સાચી સાબિત થઇ છે. સાથે જ 24 થી 25 માર્ચના દરિયામાં ઊંચા મોજા ઉછળશે. સાથે જ ભારે પવન ફૂંકાશે એટલે કે માર્ચ મહિનામાં વિપરીત વાતાવરણ રહેશે.

આગામી માર્ચ અને એપ્રિલ મહિનો ભારે બની રહેવાના છે અને આ સમયમાં વીજ પ્રપાત અને કરા પડવાની ઘટનાઓ બની શકે છે. આ સિવાય માર્ચ મહિનામાં ફરીવાર ૨૪થી ૨૫ માર્ચ સુધી એમ બે દિવસ પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ પડી શકે છે. આ સિવાય એપ્રિલ મહિનામાં પણ તારીખ 3થી 8ની વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ પડી શકે છે. ચોમાસા પહેલાં આગામી માર્ચ અને એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકી શકે તેમ હોવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું અને જેના કારણે ખેડૂતોને બટાકા, જીરૂ, વરિયાળી, ચણા, ઘઉં સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું અને હવે ફરીથી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મતે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. પવનની ગતિ અને દિશા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે. હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે. ભરઉનાળે આવેલા માવઠાએ ખેડૂતોના પાકનો સોથ વાળ્યો છે. ઘઉં, કપાસ, બાજરી, એરંડા સહિત કેરીનો પાક માવઠાએ બગાડ્યો છે.

હવામાન વિભાગે  કહ્યું છે કે, હાલ વાતાવરણમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગર સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેથી 21 થી 22 ફરી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં  વરસાદની આગાહી છે. 

હજુ ત્રણ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. કચ્છ, ભાવનગર, અમરેલીમાં માવઠાની આગાહી છે. તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ માવઠાની આગાહી છે. મહીસાગર, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી કરવામા આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માવઠાએ હદ કરી નાંખી છે. વરસાદ અને કરાવર્ષાને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેતરોમાં ઉભો તેમજ કાપેલો પાક પલળી ગયો છે. ખેતીને થયેલા નુકસાનનો અંદાજ માંડી શકાય તેમ નથી. 

ગુજરાતના માથે માવઠાની ઘાત બેઠી છે. માંડ ઋતુ બેસે ત્યાં માવઠું આવી જાય. પંદર દિવસ દિવસમાં ગુજરાતનું હવામાન બદલાઈ જાય છે. કમોસમી વરસાદ ગમે ત્યારે ખાબકી પડે છે. ત્યારે હવે ગુજરાતીઓ કંટાળ્યા છે. તેમને એક જ સવાલ થાય છે કે આ કમોસમી વરસાદની મોસમ ક્યારે જશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી આનો જવાબ મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે.

(6:23 pm IST)