Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય: રાજ્યમાં ૩૭ ખરીદ કેન્દ્રો ખાતે ૧ લી જૂનથી શરૂ થશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી

ટેકાના ભાવે ખરીદી માટે તંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજનની કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલે સમીક્ષા કરી: નોંધણી કરાવીને ટેકાના ભાવે ખરીદીનો વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો

અમદાવાદ :રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૨-૨૩માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ રૂ.૭૭૫૫ પ્રતિ કિવ. રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તા. ૨૯-૦૫-૨૦૨૩થી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી માટે રાજ્યમાં ૩૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી તા.૧/૦૬/૨૦૨૩ના રોજથી શરૂ કરવામાં આવશે.અને ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે.
રાજ્યના ખેડૂતો કોઈપણ તકલીફ વગર સરળતાથી પોતાના ઉત્પાદનો ટેકાના ભાવે વેચી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી અને રાજ્યના ખેડૂત ભાઈઓને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો

 

(9:25 pm IST)