Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

રાજ્યમાં આગામી તા. ૨૬ થી તા.૩૧ સુધી ‘સુશાસન સપ્તાહ’ અને જ્યારે તા. ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન ‘નદી ઉત્સવ’ મનાવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા.૨૫ ડિસેમ્બરે રાજ્યકક્ષાનો સુશાસન દિવસ ગાંધીનગર ખાતે ઉજવાશે : સુશાસન દિવસે નવીન સ્વાગતકક્ષ,નવી નીતિ-પોલિસી, વિવિધ વિભાગોની મોબાઈલ એપનો શુભારંભ કરાશે :વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓની હાજરીમાં સુશાસન દિવસ ઉજવાશે :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા. ૨૬ ડિસેમ્બરે સુરતમાં તાપી નદીના કિનારે રાજ્યકક્ષાનો નદી ઉત્સવ ઉજવાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

અમદાવાદ :ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીના જન્મદિવસ તા. ૨૫ ડિસેમ્બરને ‘ગૂડ ગવર્નન્સ-સુશાસન દિવસ’ તરીકે પ્રતિ વર્ષ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યમાં આગામી તા. ૨૬ થી ૩૧ ડિસેમ્બર સુધી વિવિધ વિભાગો દ્વારા ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે તા. ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન લોકમાતા નદીને સન્માન આપવા ‘નદી ઉત્સવ’ મનાવાશે તેમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ.

   મંત્રીએ સુશાસન સપ્તાહ સંદર્ભે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા. ૨૫ ડિસેમ્બરે રાજ્યકક્ષાનો સુશાસન દિવસ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે ઉજવાશે. જેમાં નવીન સ્વાગતકક્ષનો પ્રારંભ, eSarkar (IWDMS 2.0)નો શુભારંભ, વિવિધ વિભાગોની નવી નીતિ-પોલિસી જાહેર કરાશે તેમજ વિવિધ વિભાગોની મોબાઈલ એપનો શુભારંભ કરાશે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ વિભાગ, આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, કૃષિ-પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ,શ્રમ-રોજગાર અને કૌશલ્ય વિભાગના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના પ્રજાલક્ષી કાર્યક્રમો તેમજ તા. ૩૧ ડિસેમ્બરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો સમપાન સમારોહ યોજાશે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓની હાજરીમાં સુશાસન દિવસ ઉજવાશે તેમ તેમણે ઉમેર્યું હતુ.
પ્રવકતા મંત્રીએ નદી ઉત્સવની વિગતો આપતાં કહ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા.૨૬ ડિસેમ્બરે રાજ્યકક્ષાનો ‘નદી ઉત્સવ’ સુરતમાં તાપી નદીના કિનારે યોજાશે. આ ઉપરાંત નર્મદા નદી કિનારે ભરૂચ અને ગરુડેશ્વર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જયારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાબરમતી નદી અમદાવાદ ખાતે મહાઆરતી કરીને નદી ઉત્સવનું સમાપન યોજાશે. રાજ્યમાં યોજાનારા આ નદી ઉત્સવમાં તાપી, નર્મદા અને સાબરમતી નદી ખાતે આરતી, મેરેથોન, સંવાદ અને સફાઈ સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, રાજ્યની વિકાસયાત્રાને વેગવંતી બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની દશમી શૃંખલા આગામી તા.૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે એ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તે અંગે દેશ-વિદેશમાં ભવ્ય રોડશોનું આયોજન કરાયુ તેને અપ્રતિમ સફળતા મળી છે. એટલુ જ નહિ પ્રતિ સોમવારે જે MOU થયા છે તેમાં પણ વિવિધ સંસ્થાઓએ  વિવિધ પ્રોજેકટો માટે સિમાચિન્હૃરૂપ MOU કર્યા છે જેના પરિણામે રાજ્યભરમાં વ્યાપક રોજગારીનું સર્જન થશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો મળે એ માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યુ છે. તાજેતરમાં ગ્રામ્યસ્તરે યોજાયેલ આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૧,૨૪,૮૦૭.૫૭ લાખના ૪૦,૨૦૭ વિકાસ કામોના ખાતમુહૂર્ત, રૂા.૪૪૭૫ લાખના ૩૨ કામોના ભૂમિપૂજન તથા રૂા.૫૨,૩૮૯.૨૨  લાખના ૨૩,૦૦૮ વિકાસ કામોના લોકાર્પણ કરાયા છે અને રૂા.૧૬,૭૫૪.૭૫ લાખની વ્યક્તિગત સહાય ૧,૯૨,૫૭૩ લાભાર્થીઓને ચૂકવાઇ છે. આ ઉપરાંત સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અંદાજે રૂા.૫૨૮ કરોડના ૪,૬૮૧ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂા.૨૨૨ કરોડના ૪,૯૩૨ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓનો તનાવ દૂર થાય એ માટે તેમજ પરીક્ષાની તૈયારી કરવાનો પૂરતો સમય મળે એ માટે પણ બોર્ડની પરીક્ષાઓ ૧૫ દિવસ મોડી યોજવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય કરાયો છે.
પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાના સંદર્ભે પેપર લીક થવાની ઘટનાની સંપૂર્ણપણે પારદર્શી તપાસ થાય તે માટે પ્રથમ દિવસથી જ મુખ્યમંત્રી દ્વારા આદેશો આપી દેવાયા છે અને રાજ્યના વિધાર્થીઓને નુકસાન ન થાય તે માટે સતત પ્રયાસો સરકાર કરી રહી છે અને કરશે. ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે આ ઘટના સંદર્ભે સંડોવાયેલ લોકોને દાખલો બેસે એવી સજા કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ બનાવમાં સંડોવાયેલા કોઇપણ વ્યક્તિઓને રાજ્ય સરકાર બક્ષવા માંગતી નથી, જે પણ કસુરવારો હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.
તેમણે કહ્યુ કે, આગામી સમયમાં સંપૂર્ણ પારદર્શી રીતે પરીક્ષાઓ યોજાય એ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની શક્યતાઓ લાગશે તો તે અંગે પણ રાજ્ય સરકાર ચોક્કસ વિચારશે અને એ માટે મુખ્યમંત્રી દ્વારા સામાન્ય વહીવટ વિભાગને પરીક્ષાના ધોરણો તથા નવી વ્યવસ્થાઓ ગોઠવવા જરૂરી સૂચનાઓ આપી છે.
ગુજરાતમાં ૧૦,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ૮૦ થી ૯૦ ટકા સરપંચ-સભ્યો ભાજપની અને તેની વિચારધારા ધરાવતા ઉમેદવારો ચૂંટાયા તે બદલ મતદારોનો પણ પ્રવકતા મંત્રી વાઘાણીએ આભાર માન્યો હતો.

(6:45 pm IST)