Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સુરત કતારગામમાં ગોટાલાવાડી પાસે રાહત કોલોનીમાં મહિલાની ચપ્પુના ઘા ઝીકી હત્યા

હિસાબમાં 300 રૂપિયાની ભૂલ આવતા ઝઘડો થયો :લોજીંગનું કામ કરીને ગુજરાન ચલાવતી મહિલાની રોષે ભરાયેલા હિતેશે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી

સુરતના કતારગામમાં મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. સુરતના કતારગામ સ્થિત ગોટાલાવાડી પાસે આવેલી રાહત કોલોનીમાં આધેડ મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યા કરનારા ઈસમને ઝડપી પાડ્યો છે. હિસાબમાં 300 રૂપિયાની ભૂલ આવતા મહિલા અને હત્યારા વચ્ચે ઝગડો થયો હતો. જેમાં મહિલાને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હતી

  મળતી માહિતી મુજબ સુરતના કતારગામના ગોટાલાવાડી ખાતે આવેલ રેલ રાહત કોલોનીના ઘર નં- 29માં ગીતાબેન ભરતભાઇ પ્રજાપતિ રહેતા હતા અને લોજીગનુ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લાં ઍક માસથી ગીતાબેનના ત્યાં હિતેશ ઉર્ફે લાલુ નટવરલાલ વસાવા નામનો યુવક રહેતો હતો અને લોજીગમા ભોજન કરતો હતો

રવિવારે રાત્રે હિતેશ અને ગીતાબેન વચ્ચે હિસાબ કરતી વખતે 300 રૂપિયાની ખોટ આવતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં રોષે ભરાયેલા હિતેશે ગીતાબેનને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. જો કે ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ હિતેશ ઉર્ફે લાલુ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોધી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. 

 આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે હત્યારા હિતેશને ઝડપી પાડ્યો હતો. અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(10:23 pm IST)