Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

સોલા સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીનું મોત

ગુજરાત માટે ભયજનક સ્થિતિ સર્જાય તેવી શક્યતા : દર્દીને માત્ર શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તેવામાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા તંત્ર દોડતું થયું

અમદાવાદ, તા.૨૩ : ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો વિસ્ફોટ થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. ૯ સુધી પહોંચી ચુકેલા કોરોનાના આંકડા હવે ધીરે ધીરે ૧૦૦ તરફ આગળ વધી રહ્યા છે. તેવામાં ગુજરામતા ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ પેદા થઇ રહી છે. આ ઉપરાંત ૦ થઇ ચુકેલો મરણનો આંકડો ફરી એકવાર વધી રહ્યો છે. તેવામાં ગુજરાત માટે ભયજનક સ્થિતિ સર્જાય તેવી શક્યતાને જોતા હવે સરકાર પણ ધીરે ધીરે આળસ ખંખેરી રહી હોય તેમ લાગી રહ્યું છે. સરકારી મેળાવડાઓ જો કે યથાવત્ત છે પરંતુ જનતા પર લગામ કસી રહી છે.

જો કે આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે વધારે એક ખુબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક વૃદ્ધનું અવસાન થયું છે. તેઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓને ઓમિક્રોન હોઇ શકે તેવી શક્યતાને જોતા તેમનો રિપોર્ટ જિનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવ્યો હતો. તેમના મોટા ભાગનાં લક્ષણો ઓમિક્રોન જેવા હતા. તેઓને બીજી કોઇ તકલીફ નહોતી માત્ર શ્વાસ લેવામાં જ તકલીફ પડી રહી હતી. તેવામાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. જો તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવે તો ઓમિક્રોન ધરાવતા પહેલા ભારતીયનું મોત ગણાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે પ્રથમ મોત બ્રિટનમાં નોંધાયું હતું. આ મોત બાદ સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઇ હતી. વૈજ્ઞાનિકોનો દાવો કે ઓમિક્રોન જેટલો વધારે વાયરલ છે તેટલો જ ઓછો ઘાતક છે તે હવે ધીરે ધીરે અયોગ્ય સાબિત થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેસોમાં જબરજસ્ત રીતે ઉછાળો પણ થઇ રહ્યો છે. બ્રિટનમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. તેવામાં જો ગુજરાતમાં હવે સ્થિતિને કાબુમાં નહી લેવામાં આવે તો કોરોનાના બીજા વેવ કરતા પણ ખરાબ સ્થિતિનું સર્જન થઇ શકે છે. સરકાર તૈયારીના ખાંડા જરૂર ખખડાવી રહી છે પરંતુ આ વાયરસ જે ઝડપથી ફેલાય છે તે જોતા સરકારની ગમે તેટલી તૈયારીઓ હોય તે પણ ઓછી પડશે.

(9:25 pm IST)