Gujarati News

Gujarati News

News of Friday, 24th December 2021

અમદાવાદ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો :એક જ દિવસમાં 43 કેસ: એક મૃત્યુ:બે સોસાયટી માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

મનપા તંત્ર દ્વારા કોરોનાને રોકવા ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર:છેલ્લા 24 કલાકમાં 21 હજારથી વધુ લોકોને રસી અપાઈ

અમદાવાદ :કોરોનાની બીજી ઘાતક લહેર બાદ અમદાવાદ શહેરમાં ફરી કોરોના સંક્રમણની સ્પીડ વધી રહી છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં જ સૌથી વધુ 43 કેસ સામે આવ્યા છે. જ્યારે 18 દર્દી સારવાર બાદ સાજા થતા કોરોના મુક્ત જાહેર કરાયા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ વકરતા જ ફરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ચાંદલોડીયાની ICB આઇલેન્ડના 4 ઘરના 13 લોકો અને ચાંદખેડાની દિવ્યજીવન સોસાયટીના 4 ઘરના 15 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગ કોરોનાને રોકવા ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મુકી રહ્યું છે.અમદાવાદમાં 21 હજારથી વધુ લોકોને પાછલા 24 કલાકમાં રસી આપવામાં આવી.

અમદાવાદમાં કોરોના અને એમિક્રોનના કેસ પ્રતિદીન વધી રહ્યા છે ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત ના થાય એ બાબતે શિક્ષણ વિભાગ પણ પુરતી તકેદારી રાખી રહ્યું છે. આ તમામ શાળાઓમાં સરકારની ગાઈડ લાઈનનું ફરજિયાત પાલન થાય એ બાબતે ઈન્સ્પેક્ટિંગ સ્ટાફને સુચના અપાઈ છે. જ્યારે ઇન્સ્પેક્ટિંગ સ્ટાફ દ્વારા તમામ શાળાઓની વિઝિટ કરી તકેદારીના પગલા ચકાસવામાં આવી રહ્યા છે.

આ દરમ્યાન અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા છે ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે દેશથી આવતા લોકો દ્વારા ક્વોરન્ટાઇન નિયમ ભંગ કરનાર 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે,તેમજ બાળકોમાં વેક્સિન ન લીધી હોવાને કારણે જોખમ વધુ હોવાનું પણ સામે આવી રહ્યું છે… ત્યારે એરપોર્ટ પર તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.

(12:38 am IST)